-
સંઘપ્રદેશના વિદ્યુત વિભાગ/ નિગમનો 51 ટકા હિસ્સો (શેર) ખરીદવા સફળ રહેલી ટોરેન્ટો પાવર ગુજરાતમાં ગરીબોને 50 યુનિટ સુધી રૂા.1.પ0 પ્રતિ યુનિટના ભાવે વિજળી આપે છે અને પ0 યુનિટ કરતા વધે તો પ્રતિ યુનિટના રૂા. 3.65 થી રૂા પ.05 પ્રતિ યુનિટ દીઠ વસૂલાતા હોવાથી પ્રદેશના બહુમતી આદિવાસીઓ માટે ઈલેક્ટ્રીકની રોશની ભૂતકાળ બની શકે છે
-
દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/ નિગમના ખાનગીકરણને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે, આ મુદ્દે પુનઃ વિચાર કરવા ભારત સરકારનું ધ્યાન દોરવું અતિ આવશ્યક
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ / નિગમનું ખાનગીકરણ થયા બાદ સૌથી મોટું નુકસાનપ્રદેશના આદિવાસીઓને થવાનું છે. તેમાં પણ દાદરા નગર હવેલીના લગભગ 30 હજાર જેટલા આદિવાસીઓ ફરી દીવા અને ફાનસના યુગમાં આવી શકે એવી સ્થિતિ પેદા થવાની સંભાવના છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ વિદ્યુત વિભાગ / નિગમનો 51 ટકા હિસ્સો (શેર) ખરીદવા સફળ રહેલ ગુજરાતની ટોરેન્ટો પાવર કંપની ગુજરાતના ગરીબ પરિવારોને 50 યુનિટ સુધી રૂા.1.પ0 પ્રતિ યુનિટ અને પ0 યુનિટથી વધુના વપરાશ માટે ડોમેસ્ટિક વીજદરના હિસાબે રૂા. 3.65 થી રૂા પ.05 પ્રતિ યુનિટ દીઠ વસૂલવામાં આવતા હોવાનું જાણવા મળે છે. હાલમાં દાદરા નગર હવેલીના 30 હજાર જેટલા આદિવાસી પરિવારોને દાદરા નગર હવેલી વિદ્યુત વિતરણ લિમીટેડ દ્વારા ફક્ત રૂા.10મા પૂરો મહિનો વિજળી આપવામાં આવે છે. ખાનગીકરણ થયા બાદ ટોરેન્ટો પાવર પ્રદેશના આદિવાસીઓ માટે કાર્યરત આ યોજના બંધ કરી દેશે. જેના પરિણામે દાદરા નગર હવેલીના 30 હજાર જેટલા આદિવાસી પરિવારોને ઈલેક્ટ્રીકના જગ્યાએ પોતાના ઘરના ઉજાસ માટે અન્ય વિકલ્પ શોધવો પડશે અને 18મી સદીના દીવા અને ફાનસ ઉપર ફરી નિર્ભર બનવું પડે તો આヘર્ય નહી પામવું પડે એવી ભયજનક સ્થિતિ અત્યારે સર્જાયેલી છે.
અત્રે યાદ રહે કે, ભારત સરકાર દ્વારા ગરીબ આદિવાસીઓને વીજ સુવિધાપૂરી પાડવા માટે દાદરા નગર હવેલીમાં ફક્ત રૂા.10 પ્રતિ માસ પ્રમાણે બીલ વસૂલવામાં આવે છે. જેમાં તેઓ એક પોઈન્ટ હેઠળ બે બલ્બ સળગાવી શકે છે. પરંતુ મોટા ભાગના આદિવાસીઓ આ એક પોઈન્ટમાંથી જ ટી.વી., ફ્રિજ કે હિટરનો વપરાશ પણ કરતા હતા. સંઘપ્રદેશ પ્રશાસન પણ આ મુદ્દે અત્યાર સુધી આંખ આડા કાન કરતું હતું. પરંતુ ખાનગીકરણ થયા બાદ દરેક ઘરને મીટરથી આવરી લેવામાં આવશે અને એવું સંભળાય છે કે ખાનગી કંપની પ્રિ-પેઈડ મીટરની પણ વ્યવસ્થા કરી શકે છે. જેના કારણે જ્યાં સુધી મીટર ચાર્જ રહેશે, ત્યાં સુધી વીજ પૂરવઠો આવતો રહેશે. જેના કારણે ગરીબ વર્ગ માટે વીજ બીલ મોટું ભારણ બનવાની પણ સંભાવના છે.
મળતી માહિતી પ્રમાણે પડોશી રાજ્ય ગુજરાતમાં ગરીબોને જે ભાવથી ટોરેન્ટ પાવર વિજળી આપે છે. તેની તર્જ ઉપરજ કંપની સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ વિજળી આપશે. તેથી પ્રદેશના ગરીબોને પણ ટોરેન્ટ પાવરના નીતિ-નિયમ મુજબ વિજ બીલ ચૂકવવું પડશે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/ નિગમના ખાનગીકરણ આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે, આ મુદ્દે પુનઃ વિચાર કરવા ભારત સરકારનું ધ્યાન દોરવું ખુબ જરૂરી બની ગયું છે.
———