અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોને આપેલું માર્ગદર્શન : હજુ વધુ સારુ કરવા આપેલા દિશા-નિર્દેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.07
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની ત્રણ દિવસીય દાદરા નગર હવેલી મુલાકાત દરમિયાન પહેલા દિવસે લગભગ 17 કરતા વધુ કાર્યાન્વિત પ્રોજેક્ટો અને વિકાસ કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આજની મુલાકાત દરમિયાન પ્રશાસકશ્રીની વક્ર દૃષ્ટિ કોઈ અધિકારી, કોન્ટ્રાક્ટર કે પ્રોજેક્ટના કામ ઉપર નહીં પડતા સંબંધિતોએ રાહતનો દમ લીધો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પોતાની ત્રણ દિવસીય મુલાકાતના પહેલા દિવસે અથાલ પુલ, યાત્રિ નિવાસ ફલાયઓવર, પંચાયત બજાર, સેન્ટ્રલ પાર્ક, દાદરા સ્કૂલ, દાદરા-તિઘરા માર્ગ, પિપરીયા ફલાય ઓવર, શાકભાજી માર્કેટ, ઝંડાચોક સ્કૂલનું નિરીક્ષણ સવારના સત્રમાં કર્યુ હતું. ત્યારબાદ બપોરે 3:00 વાગ્યાથી શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલની નવી બિલ્ડીંગ, મેડિકલ કોલેજ, પેરામેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજમાં ચાલી રહેલા નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરી સ્થળ ઉપર જ પ્રશાસનિક અધિકારીઓ, એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોને આવશ્યક દિશા-નિર્દેશ આપ્યા હતા.
પ્રશાસકશ્રીની મુલાકાત દરમિયાન સલાહકાર શ્રી એ.કે.સિંઘ,નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, પ્રશાસકશ્રીના અંગત સલાહકાર શ્રી ડી.એ.સત્યા, જિલ્લા કલેક્ટર ડો. રાકેશ મિન્હાસ, આરોગ્ય સચિવડો.એ.મુથમ્મા, શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈન, પ્રવાસન સચિવ શ્રીમતી તપસ્યા રાઘવ, ડેપ્યુટી કલેક્ટર સુશ્રી ચાર્મી પારેખ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આવતી કાલે પણ પ્રશાસકશ્રી વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસકામોની મુલાકાત લઈ તેનું નિરીક્ષણ કરશે.