(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વના શુભ અવસર પર સાહિબજાદા જોરાવર સિંહ અને સાહિબજાદા ફતેહ સિંહની શહાદતની યાદમાં આ વર્ષથી 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરાતા દમણ-દીવ શીખ સમાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આજરોજ દમણ-દીવ શીખ સમાજના પદાધિકારીઓ અને આગેવાનોએ બેઠક યોજી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખીને ‘વીર બાળ દિવસ’ની જાહેરાત કરવા બદલ હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે દમણ-દીવ શીખ સમાજના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પીએમ મોદીએ 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે જાહેર કરીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે, જે માટે આખા ભારતનો શીખ સમાજ તેમનો હૃદયપૂર્વકઆભાર વ્યક્ત કરે છે. ‘વીર બાળ દિવસ’ જાહેર કરવાથી સમગ્ર દેશની જનતા જાણી શકશે કે, આપણા સાહિબજાદાઓએ આપણા દેશ માટે બલિદાન આપ્યું છે. આપણા ગુરુ ગોવિંદ સિંહ અને તેમના ચાર સાહિબજાદાઓએ ભારત માટે શહાદત આપી છે.
શીખ સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, આપણા ગુરુ ગોવિંદ સિંહજીએ ધર્મ, સમુદાય અને દેશની રક્ષા માટે ઘણી લડાઈઓ લડી હતી. સાહિબજાદાઓની શહાદતને ઈતિહાસમાં નોંધવી જોઈએ કે જેથી કરીને લોકો જાણી શકે કે ગુરુ ગોવિંદ સિંહ અને તેમના સાહિબજાદાઓએ ભારત માટે બલિદાન શા માટે આપ્યું હતું. હવે દર વર્ષે 26મી ડિસેમ્બરે દમણ-દીવ અને વાપી શીખ સમાજ દ્વારા વીર બાળ દિવસની મોટા પાયે ઉજવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, માતા ગુજરી, શ્રી ગુરુ ગોવિંદ સિંહજી અને ચાર સાહિબજાદાઓની બહાદુરી અને આદર્શો લાખો લોકોને શક્તિ આપે છે. તેઓ કયારેય અન્યાય સામે ઝૂકયા નથી. તેમણે એવા વિશ્વની કલ્પના કરી હતી કે જે સર્વસમાવેશક અને સુમેળભર્યું હોય. ગુરુ ગોવિંદ સિંહ અને તેમના સાહિબજાદાઓ વિશે વધુને વધુ લોકો જાણે એ સમયની માંગ છે.
Previous post