-
દાનહ અને દમણ-દીવના વીજળી ખાનગીકરણને રોકવાના અભિયાનને કડૈયા, ભીમપોર અને કચીગામ પંચાયતેપણ આપેલું સમર્થન
-
કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ પટેલે ખાનગીકરણ અટકાવવા ચાર પત્રકારો દ્વારા રચાયેલી સમિતિને આપેલું સમર્થન પત્ર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12
દાનહ અને દમણ-દીવના કેન્દ્ર શાસિત પ્રદેશોના વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણના નિર્ણયને રોકવા માટે પ્રદેશના ચાર પત્રકારો દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનને આજે દમણની વધુ ત્રણ ગ્રામ પંચાયતોએ સમર્થન આપ્યું છે.
જેમાં દમણના કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલ અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પોતપોતાના વિસ્તારના લોકો વતી ભારત સરકારને અપીલ કરી છે કે નફા રળી આપતું વીજ વિભાગ/નિગમનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવાની જરૂર છે.
આ સાથે કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પણ ખાનગીકરણ અટકાવવા પત્રકારો દ્વારા ચલાવવામાં આવી રહેલી અભિયાનને સમર્થનઆપતો પત્ર આપ્યો છે.
અત્રે નોંધનીય છે કે અત્યાર સુધીમાં દમણની કુલ 10 ગ્રામ પંચાયતો દ્વારા ભારત સરકારને પુનર્વિચાર માટે અપીલ કરવામાં આવી છે.