-
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પંચાયતી રાજ સચિવ ગૌરવસિંહ રાજાવતની રહેલી યશસ્વી ભૂમિકા
-
પંચાયતી રાજ વિભાગના સંયુક્ત સચિવ આશિષ મોહન, દાનહ જિ.પં.ના સીઈઓઅપૂર્વ શર્મા તથા દમણના બી.ડી.ઓ. પ્રેમજીભાઈ મકવાણાએ બજાવેલી સક્રિય કામગીરી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.24
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયતીરાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવતે સ્વચ્છતા સંકલ્પ કાર્યક્રમમાં સ્વાગત વક્તવ્ય આપતા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ બનાવવામાં આવી રહી છે. તા.26મી જાન્યુઆરીના રોજ અમલમાં મૂકવામાં આવશે તે અંગે માહિતી આપી હતી. આ પ્રણાલીના અમલીકરણ માટે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 650થી વધુ ગ્રામસભાઓ અને રાત્રિ ચૌપાલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ વિશે માહિતી આપવામાં આવી હતી. આ સિસ્ટમ હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશમાં 1 લાખ 20 હજારથી વધુ ઘરો અને દુકાનોમાંથી કચરો ઉપાડવામાં આવશે. સૂકા અને ભીના કચરા માટે વાદળી અને લીલા રંગના ડસ્ટબિનનો ઉપયોગ કરવામાં આવશે. કચરો વહન કરતા વાહનોમાં જીપીએસ લગાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સંઘપ્રદેશમાં પ્રદેશમાં સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે સ્વચ્છતા પ્રહરી એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. જો કોઇપણ વ્યક્તિને કયાંય પણકચરો અને ગંદકી જોવા મળશે તો આ એપ્લિકેશન પર ફોટો અપલોડ કર્યાના બે કલાકમાં કાર્યવાહી કરીને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શન હેઠળ સંયુક્ત પંચાયતીરાજ સચિવ શ્રી આશિષ મોહન, દાનહ જિ.પં.ના સીઈઓ શ્રી અપૂર્વ શર્મા તથા દમણના બી.ડી.ઓ શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ અથાક પરિશ્રમ કર્યો હતો.