800 થી વધુ ખેલૈયાઓ ભેગા થશે તો ફાયર સેફટી સિકયુરિટી એમ્બ્યુલન્સ વિગેરે આયોજકોએ રાખવા પડશે
પારડીમાં આ વર્ષે કોઈ મોટા પાયાનું આયોજન ન હોય ફક્ત શેરી ગરબા જ યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.12: પારડી પોલીસ સ્ટેશનના પીઆઇ બી.જે. સરવૈયાના અધ્યક્ષ સ્થાને રવિવારથી શરૂ થતી નવરાત્રિને લઈ પારડી તથા આજુબાજુના ગામડાઓના ગરબા આયોજકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રિ પર્વ ઉજવણીના ભાગ રૂપે આ વર્ષે શેરી ગરબા રાત્રિના બાર વાગ્યા સુધી ગરબા રમી શકાશે. રાત્રિના 12:00 વાગ્યા બાદ લાઉડ સ્પિકર બંધ કરીને ગરબા જેણે રમવું હોય એ રમી શકે છે. આ ઉપરાંત 181 હેલ્પલાઈનના પોલીસના બેનર જન જાગૃતિ માટે જ્યાં ગરબા રમાનાર હોય એ સ્થળ પર લગાવવા માટે પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો અને જ્યાં 800 થી વધુ ખલૈયા ભેગા થશે ત્યાં સિકયુરિટી, એમ્બ્યુલન્સ અને ફાયરસેફટીની સુવિધા આયોજકોએ રાખવાની રહેશે. બેન, દીકરીઓની છેડતી ન થાય એ માટે પારડી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવ્યો છે પરંતુ આયોજકોને પણ આ બાબતે ધ્યાન આપવાનું થશે. પોલીસે નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખી વિવિધ પોઈન્ટ બનાવ્યા છે જે પોઈન્ટ ઉપર પોલીસ જવાનો રહેશે. કોમી એકતા જાળવવા માટે પોલીસે અપીલ કરી આમ નવરાત્રિના પર્વની ઉજવણીના ભાગરૂપે સાવચેતીના પગલાં પારડી પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે જે માટે જાહેર જનતાને જાગૃત કરવામાં આવી રહ્યા છે. શાંતિમય વાતાવરણ વચ્ચે માતા જગદંબાની આરાધના થાય અને શાંતિ જળવાઈ રહે એવા પ્રયત્ન તમામ ખાલૈયા અને આયોજકોને કરવા પોલીસે અપીલ કરી છે. આમ આ વખતે પારડીમાં કોમર્શિયલ ગરબાનું આયોજન થયું નથી જેની લઈ પારડી પંથકમાં આ વખતે શેરી ગરબાઓની ધૂમ જોવા મળશે.
આજની આ બેઠકમાં પ્રેમલ ચૌહાણ, ચાર્લી ભંડારી, અનવર મણિયાર, મેહુલ વશી તથા અન્ય આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.