પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં દાનહ અને દમણ-દીવની શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, માળખાગત અને ઔદ્યોગિક તથા પ્રવાસન ક્ષેત્રે થયેલી કાયાપલટ સોનેરી અક્ષરે લખાશે અને ઐતિહાસિક બની રહેશે
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે શરૂ થયેલા વિકાસના દાયકામાં અસંભવ ગણાતા અનેક કામો સંભવ થઈ શક્યા છે. કોઈએ કલ્પના પણ નહી કરી હોય એ પ્રકારે ફક્ત માળખાગત જ નહી પરંતુ દરેક ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના ત્રણેય જિલ્લાના સમતોલ, સર્વાંગી અને સમાવેશી વિકાસ તરફ પ્રશાસનનું ધ્યાન રહ્યું છે.
ભૂતકાળમાં દીવ, મોટી દમણ, દાદરા નગર હવેલીના છેવાડેના ખાનવેલ, માંદોની-સિંદોની, રાંધા, દુધની જેવા વિસ્તારો ઉપેક્ષિત રહેતા હતા. પ્રદેશના શ્રીમંત, શેઠ, નેતા, ઉદ્યોગપતિ સહિતના વગવશીલાવાળા લોકોનો પ્રશાસનમાં દબદબો હતો. પરંતુ પ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત શ્રમિક,સેવક, પીડિત, શોષિત, આદિવાસી સહિતના છેવાડેના લોકોના અવાજનો પડઘો પ્રશાસનમાં પડતો થયો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિકાસનો દાયકો પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનથી શરૂ થયો છે અને તેની સક્રિય અસર સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે 29મી ઓગસ્ટ, 2016ના રોજ સંભાળેલા અખત્યાર બાદથી થયો છે.
આજે ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પાસે શું નથી?ની ચર્ચા થઈ રહી છે. કારણ કે રાજ્ય સ્તરની લગભગ તમામ સુવિધા, સગવડ, યોજના અને આયોજન દાદરા નગર હવેલી અને દમણ-દીવ પાસે આવી ચૂક્યું છે. પ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવની નોંધ રાષ્ટ્રીય સ્તરે પ્રધાનમંત્રી દ્વારા પણ લેવાતી થઈ છે. આ એક ટચૂકડા પ્રદેશ માટે નાની ઘટના નથી અને તેના સૂચિતાર્થો પણ ઘણા છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ગત પ્રજાસત્તાક દિવસની ઉજવણીના પ્રદેશ સ્તરીય સમારંભમાં ખાનવેલમાં આઈટીઆઈ અને દીવ ખાતે ફેશન ટેકનોલોજીની કોલેજ શરૂ કરવાના નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે સેલવાસની નમો મેડિકલ કોલેજ માટે રીસર્ચ અને પોસ્ટ ગ્રેજ્યએશનના અભ્યાસક્રમ શરૂ કરવા પણ પ્રશાસન પ્રયાસરત હોવાની જાણકારી આપી હતી.
સેલવાસની નમોમેડિકલ કોલેજમાં હાલમાં એમ.બી.બી.એસ.ના ચોથા બેચ માટેના પ્રવેશની કાર્યવાહી પૂર્ણ થશે. કોલેજની સ્થાપનાના ચાર વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ શરૂ કરવા માટે થઈ રહેલા પ્રયાસોથી પ્રશાસનની ચિંતાનો ચિતાર મળે છે.
મોટી દમણ અને નાની દમણના દરિયા કિનારે નિર્માણ પામેલા બીચ રોડ બાદ દીવ ખાતે પણ સાડા સત્તર કિલોમીટરની દરિયાઈ પટ્ટી ઉપર બીચ રોડ બનાવવા જાહેર કરેલા નિર્ણયથી પ્રશાસન દરેક જિલ્લાના સર્વાંગી અને સમાવેશી વિકાસ માટે સંકલ્પબદ્ધ હોવાનું પ્રતિત થાય છે.
આવતા દિવસોમાં પ્રશાસનિક ફેરબદલ થતી રહેશે, સરકારો જશે અને આવશે પરંતુ મોદી સરકારના શાસનમાં અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, માળખાગત અને ઔદ્યોગિક તથા પ્રવાસન ક્ષેત્રે થયેલી કાયાપલટ સોનેરી અક્ષરે લખાશે અને ઐતિહાસિક બની રહેશે એમા કોઈ સંદેહ દેખાતો નથી.
એકસ્ટ્રા કોમેન્ટ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા પાંચ-સાડા પાંચ વર્ષમાં શરૂઆતમાં સૌથી વધુ અળખામણા અને છેવટે સૌના લાડલા બન્યા હોય તો તે એક અને એકમાત્ર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ છે. જેમના માટે કેટલાક લોકો આજે પણ તેમની વિદાયની રાહ જોઈને બેઠા છે,પરંતુ બહુમતી લોકો આજે પણ એવુ માને છે કે દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ 2024 સુધી રહેવા જ જોઈએ.