દમણના સત્ય નારાયણ મંદિરના પ્રાંગણમાં યોજાઈ રહેલા પ1મા જ્ઞાનયજ્ઞ અંતર્ગત શ્રીમદ્ ભાગવત કથામાં સુપ્રસિદ્ધ કથાકાર વિપુલ કૃષ્ણ શાસ્રીએ સર્વોચ્ચ જીવન જીવવાની કળા ભાગવત શિખવાડતું હોવાના રજૂ કરેલા અનેક દાખલા-દૃષ્ટાંતો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 07
દમણ જિલ્લા માછી સમાજના કુલગુરુ મહંત શ્રી ગોપાલદાસજીના માર્ગદર્શન અને સાંનિધ્યમાં ગત શનિવારથી સત્ય નારાયણ મંદિરના પ્રાંગણમાં 51મા જ્ઞાનયજ્ઞ અંતર્ગત શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
દમણ જિલ્લા માછી સમાજની સુપ્રિમ સંસ્થા માછી મહાજનનો પ્રભાવ અને આદર સંપૂર્ણ પ્રદેશમાં પથરાયેલો છે. માછી સમાજ સહિત સમગ્ર પ્રદેશમાં શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિના જતનમાં માછી મહાજન સંસ્થાની ભૂમિકા ખુબજ મહત્વની રહી છે. માછીસમાજનો એક મોટો હિસ્સો વિદેશ યુ.કે.માં સ્થાયી થયો હોવા છતાં દેશભક્તિ સાથે તેમને પોતાનો નાતો ટકાવી રાખ્યો છે અને દરેક ધાર્મિક અને દેશભક્તિના કાર્યક્રમો ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
આજે ત્રીજા દિવસે સુપ્રસિદ્ધ કથાકાર શ્રી વિપુલ કૃષ્ણ શાષાીએ જણાવ્યું હતું કે, જીવનની દરેક સમસ્યાનું સમાધાન ભાગવતથી મળે છે. તણાવપૂર્ણ જીવનમાં ભાગવત જ શાંતિ પ્રદાન કરે છે. શાંતિથી સુખ મળે છે અને અશાંતિ જીવનમાં દરિદ્રતા અને દુઃખ પેદા કરે છે. સર્વોચ્ચ જીવન જીવવાની કળા ભાગવત શિખવાડે છે. જો મનુષ્ય આ કથાને પોતાના નિર્મળ ભાવથી સાંભળે સત્ય અને ધર્મના માર્ગનું પાલન કરે તો તેમના માટે મુક્તિના દ્વાર ખુલવાનો સમય લાગતો નથી. ભાગવત કથા સાક્ષાત કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ સાક્ષાત ભાગવત છે.
સુપ્રસિદ્ધ કથાકાર શ્રી વિપુલ કૃષ્ણ શાષાીએ ભાગવત કથાના પઠન દરમિયાન વધુમાં જણાવ્યું હતું કે, દરેક વ્યકિતએ હંમેશા સત્કર્મ કરવું જોઈએ અને ગરીબ, અસહાય અને બેસહારા લોકોની મદદ કરવાનું ભાગવત શિખવે છે.હંમેશા સત્ય બોલવું જોઈએ, માતા-પિતા, ગુરુજનો સહિત દરેક સંત મહાપુરુષો અને મોટા લોકોનો આદર કરવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે, જ્યાં પણ ભાગવત કથાનું આયોજન થાય છે ત્યાં દેવી દેવતા પણ ઉપસ્થિત રહે છે.
ભાગવત કથાસાંભળવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો જોડાયા હતા.