પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાનેઆત્મસાત કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દાનહ અને દમણ-દીવ પ્રશાસનમાં અનેક નવતર પ્રયોગો કરી લોક કલ્યાણ અને લોકોની સુખાકારીની સુરક્ષામાં પ્રયાસરત
સ્પેશ્યલ કોમેન્ટ : મુકેશ ગોસાવી
વાત ખુબ નાની છે, પરંતુ તેના સૂચિતાર્થો ખુબ ઊંડા છે. વાત એવી છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને તેમાં સામેલ પણ થઈ રહ્યા છે. સંઘપ્રદેશના વરિષ્ઠ આઈએએસ અધિકારી અને પ્રદેશના પંચાયતીરાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દમણ જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, દમણના બીડીઓ શ્રી પ્રેમજી મકવાણા સહિતની ટીમ વહેલી સવારે પંચાયત વિસ્તારમાં પહોંચી સાફ-સફાઈની સાથે ગંદકી ક્યાં ફેલાયેલી છે કે કચરાના ઢગલા જ નહીં પરંતુ એકલ-દોકલ પ્લાસ્ટિકની થેલી પણ બહાર પડેલી હોય તો તેને તે જગ્યાએથી ઉઠાવવા પંચાયતના તંત્રને પ્રેરિત કરે એ પ્રદેશ માટે ખરેખર ખુબ મોટી ઘટના છે.
પંચાયતના સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યોને પણ પંચાયતીરાજ સચિવ દ્વારા સવારે અને સાંજે બે-બે કલાક સ્વચ્છતાની કામગીરીનું નિરીક્ષણ કરવા પ્રેરિત કરાયા છે. જેના કારણે લોકોમાં પણ જાગૃતિ આવશે અને પ્રદેશમાં સ્વચ્છતા એક જન આંદોલનનુંસ્વરૂપ પણ પકડી રહ્યું છે.
આ વાત નાની છે પરંતુ એના સૂચિતાર્થો એટલા માટે ઊંડા છે કે એક ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશમાં થયેલી પહેલ ધીરે ધીરે સમગ્ર દેશમાં પણ જનઆંદોલનનું સ્વરૂપ પકડી શકે છે. આ સમગ્ર અભિયાનના પડદા પાછળ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલ, માર્ગદર્શન અને દિર્ઘદૃષ્ટિ રહેલી છે. કારણ કે કોઈપણ અભિયાનની સફળતા જનભાગીદારી વગર શક્ય નથી. તેથી સંઘપ્રદેશ પ્રશાસને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ‘આદતોને બદલવાના આંદોલન’ને સફળ બનાવવા લોકોને જોડવાનો પ્રયાસ કર્યો છે.
અત્રે નોંધનીય છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાને આત્મસાત કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનમાં અનેક નવતર પ્રયોગો કરી લોક કલ્યાણ અને લોકોની સુખાકારીની સુરક્ષામાં પ્રયાસરત છે. જેના કારણે છેલ્લા પાંચ વર્ષમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે દાદરા નગર હવેલી અને દમણ-દીવનું કદ પણ વધ્યું છે અને નામ પણ રોશન બન્યું છે.
એકસ્ટ્રા કોમેન્ટઃ
સંઘપ્રદેશ પ્રશાસનમાં કેટલાક અધિકારીઓ પોતાની સંપૂર્ણ નિષ્ઠા અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના એક ઈશારાને સમજી પોતાની તમામ શક્તિ પ્રદેશને નંદનવન બનાવી નવા ભારતના નિર્માણસાથે તાલ મેળવી રહ્યા છે જેમાં પ્રદેશના નાણાં સચિવ અને પંચાયતીરાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દમણ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન સહિતના અધિકારીઓ જેવી નિષ્ઠા અને ફરજ તમામ અધિકારીઓ બજાવે તો દાદરા નગર હવેલી અને દમણ-દીવ ગણતરીના સમયમાં નંદનવન બની શકે એમ છે.