પોતપોતાના જિલ્લામાં થયેલા સારા વિકાસકામો અને તેના વિચારોનું આદાન-પ્રદાન થવાથી બીજા રાજ્યોના જિલ્લાઓમાં પણ સારી યોજનાઓનું કાર્યાન્વયન થઈ શકે છેઃ દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : દમણ ખાતે યોજાઈ રહેલ ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ કાર્યક્રમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની મૂળભૂત શક્તિ તેના કાર્યકર્તા છે. તેમણે જણાવ્યું હતું કે, મારો એક અનુભવ રહ્યો છે કે, મારા એક સંગઠનના વ્યક્તિ પાસેથી મને ગ્રાસરૂટ લેવલની જાણકારી જલ્દી મળી જતી હતી અને જ્યારે હું આ વાતો અધિકારીઓ સામે રજૂ કરતો હતો ત્યારે અધિકારીઓને આヘર્ય થતું હતું. તેથી તેઓ હંમેશા એલર્ટ રહેતા હતા. તેમણેપંચાયતી રાજ પરિષદમાં ઉપસ્થિત રહેલા જિલ્લા પંચાયતના પ્રમુખો અને ઉપ પ્રમુખોને જણાવ્યું હતું કે, તમને પણ તમારા જિલ્લાની દરેક જાણકારી લગાતાર મળતી રહેશે તો તે તમારા પર્ફોર્મન્સને વધારી શકે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે દરેક જિલ્લાના સ્તરને ઉપર લાવવું જોઈએ. આ માટે 5 વર્ષનું લક્ષ્ય નક્કી કરો. તેમણે જણાવ્યું હતું કે, વર્ષમાં 3 વિષયો નક્કી કરો. તમામ વિભાગો સાથે મળીને કામ કરો. તમે જે પણ કરો છો તેને જન આંદોલન બનાવીને કરો.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે, એક વર્ષમાં આપણે 4-5 એવી તકો શોધીએ જેમાં સરકારના નેતૃત્વમાં પંચાયતના નેતૃત્વમાં સમગ્ર જિલ્લાના સામાન્ય લોકો તેમાં જોડાઈ શકે. પહેલાં 70 હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી, આજે તે 3 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. અમે 30 હજારથી વધુ નવી જિલ્લા પંચાયતની ઈમારતો બનાવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે સંગઠનમાં માનીએ છીએ, આપણે મૂલ્યોમાં માનીએ છીએ, આપણે સમર્પણમાં માનીએ છીએ અને આપણે સામૂહિક જવાબદારી સાથે સામૂહિકતાના મૂલ્યો સાથે આગળ વધીએ છીએ અને આપણને મળેલી જવાબદારીને કુશળતાપૂર્વક નિભાવીએ છીએ.
આ પ્રસંગે રાષ્ટ્રીયઅધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સંગઠન કાર્યકર્તા ફક્ત રાજનીતિ નહીં, વિકાસ નીતિની તરફ કામ કરી રહ્યા છે. તેમણે વ્યક્ત કર્યો હતો કે, સંગઠનની સાથે સાથે ગામનો વિકાસ ‘મેરી માટી, મેરા દેશ’ અંતર્ગત દરેક ગામમાં 75 છોડોના વાવેતર માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરકારની યોજનાઓને આમજનતાની સાથે મળીને બનાવવી છે અને પોતાના જિલ્લાને વિકસિત બનાવી દરેક લોકોને ફાયદો થાય તે દિશામાં કામ કરવાનું છે. તેમણે જન પ્રતિનિધિઓને તેમના કામની સમજ આપતા જણાવ્યું હતું કે, ગામમાં જેની સૌથી વધુ જરૂરિયાત છે તેની માહિતી મેળવે અને તેને પૂર્ણ કરવાનો પ્રસ્તાવ પ્રશાસનની સામે રાખે ત્યારે જ ગામની સાથે જિલ્લાના વિકાસનું કામ પણ થઈ શકશે.
આ પ્રસંગે દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલે પ્રારંભમાં 6 રાજ્યોમાંથી આવેલ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખોનું સંગઠન તરફથી સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પોતપોતાના જિલ્લામાં થયેલા સારા વિકાસકામો અને તેના વિચારોનું આદાન-પ્રદાન થવાથી બીજા રાજ્યોના જિલ્લાઓમાં પણ સારી યોજનાઓનું કાર્યાન્વયન થઈ શકે છે. આ પ્રસંગે વિવિધ જિલ્લા પંચાયતોના લગાવવામાં આવેલ પ્રદર્શનનનોઉલ્લેખ કરતા પ્રદેશ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનથી પ્રેરણા લઈ તમે જિલ્લામાં બહેતર કામ કરી શકો છો.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ ડો. વિનય સહષાબુદ્ધેએ પત્રકાર પરિષદ સંબોધી વિવિધ જાણકારી આપી હતી.
પ્રારંભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ દીપ પ્રાગટય કરી ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદને ખુલ્લી મુકી હતી.
ભાજપના રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો અને રાજ્યોમાં પોતપોતાની જિલ્લા પંચાયતના અધ્યક્ષો દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ કામોના પ્રદર્શનનો ઉલ્લેખ કર્યો હતો.
દમણ ખાતે યોજાયેલ 6 રાજ્યોની બે દિવસીય ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ પ્રશિક્ષણ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા ઉપરાંત રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશ, રાષ્ટ્રીય મહામંત્રી અને ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદના સંયોજક શ્રી કૈલાશ વિજયવર્ગીય, દાનહ અને દમણ-દીવના પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ વગેરેએ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અને દમણ નગરપાલિકાના અધ્યક્ષશ્રી અસ્પી દમણિયાએ આટોપી હતી.