(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.14
સરીગામ, ઉમરગામ પાલિકાના માલિકીની સર્વે નંબર 279ની 12 ગુંઠા જમીનની હદ નક્કી કરવા આજરોજ જિલ્લા જમીન નિરક્ષક દફતર કચેરી દ્વારા માપણી હાથ ધરવામાં આવી હતી.
આજરોજ બપોરના 12 કલાકના અરસામાં પાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટ અને પાલિકાના અન્ય કર્મચારીઓની હાજરી વચ્ચે માપણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઉમરગામ ટાઉન થી સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગને અડીને દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીની સામે આવેલી સોનાની લગડી સમાન જમીન ઉપર લાગુ જમીન ધરાવતા એક બિલ્ડર દ્વારા દબાણ કર્યું હોવાની આશંકા જણાઈ રહી હતી. અને આ જમીન ખુલ્લી કરવા પાલિકાના ગ્રામજનોમાં વ્યાપક માંગ ઉભી થવા પામી હતી. જેના પગલે પાલિકા ઓથોરિટી દ્વારા ડી આઈ એલ આર વિભાગને માપણી કરી હદ નક્કી કરવા અરજી કરવામાં આવી હતી.
જેના અનુસંધાનમાં આજરોજ ડી આઈ એલ આરના અધિકારીઓએ માપણીની કામગીરી પૂર્ણ કરી હતી. માપણીની કામગીરી દરમિયાન સ્થળ નિરીક્ષણ કરતા સર્વે નંબર 279 ની 12 ગુંઠા ક્ષેત્રફળ ધરાવતી જમીન ઉપર દબાણ થયું હોવાનું પ્રથમ નજરે તારણ બહાર આવી રહ્યું હતું. જેથી હદ નક્કી કરવા માટે સર્વે નંબર 279ને લાગુ તમામજમીનોની માપણી કરવામાં આવી હતી.
માપણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડી આઈ એલ આરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ સર્વે નંબરની હદની મેળાવણું નક્કી કર્યા બાદ નકશો તૈયાર કરવામાં આવશે. માપણીના સંદર્ભમાં સ્થળ ઉપર હાજર પાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગ્નેશભાઈ બારોટે જણાવ્યું હતું કે ડીઆઈએલ આર દ્વારા માપણી શીટ તૈયાર થયા બાદ દબાણ કરનારાઓ સામે તાત્કાલિક અસરથી નિયમોનુસાર પગલાં ભરવામાં આવશે.
આમ આજરોજ પાલિકા દ્વારા ડી આઈ એલ આરના માધ્યમથી માપણીની કામગીરી હાથ ધરતા દબાણ કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામી છે.