-
જીવન જીવવાની કળા એટલે ‘આર્ટ ઓફ લિવિંગ’: યોગ ગુરૂ શૈલેષ રાઠોડ
-
યોગ મહોત્સવમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અને યોગ તેમજ આરોગ્ય સંબંધિત વિષયોવિશે જ્ઞાનવર્ધક માહિતી મેળવવા યોગ ગુરૂ શૈલેષ રાઠોડની અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.10 : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થા ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા આજથી દમણના સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે 4 દિવસીય યોગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં યોગ ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના ઈન્ટરનેશનલ ફેકલ્ટી શ્રી શૈલેષ રાઠોડ વિવિધ યોગનો અભ્યાસ કરાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકર દ્વારા સંચાલિત ‘આર્ટ ઓફ લિવિંગ’ દ્વારા આજથી ચાર દિવસીય યોગ મહોત્સવનો પ્રારંભ નાની દમણના સ્વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો છે. આ યોગ મહોત્સવ 13 જાન્યુઆરી સુધી દરરોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી યોજાશે. જેમાં વિવિધ યૌગિક ક્રિયા-પ્રક્રિયાની સમજ આંતરરાષ્ટ્રીય યોગ ગુરૂ શ્રી શૈલેષ રાઠોડ સમજ આપી રહ્યા છે.
આજે યોગ મહોત્સવના પ્રારંભ સમયે ‘આર્ટ ઓફ લિવિંગ’ના યોગ ગુરુ શ્રી શૈલેષ રાઠોડે સવારના સત્રમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, યોગ એ પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે, તે આપણી બદલાતી જીવનશૈલીમાં શરીરને સ્વસ્થ/તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
દમણના સ્વામી વિવેકાનંદ સ્ટેડિયમમાં આયોજિત આર્ટ ઓફ લિવિંગ યોગ મહોત્સવમાં સમગ્ર શહેરયોગમાં જોડાયું હતું. આજના પ્રથમ દિવસે જ 1200થી વધુ લોકોએ ભાગ લઈ ધ્યાન કર્યું હતું અને યોગ ગુરુઓ પાસેથી યોગના રહસ્યો શીખ્યા હતા.
આ દરમિયાન યોગ આંતરરાષ્ટ્રીય યોગ ગુરૂ શ્રી ગુરુ શૈલેષ રાઠોડે ઉપસ્થિત લોકોને યોગ ક્રિયા શીખવી હતી અને જણાવ્યું હતું કે, યોગ એ એક અનુશાસન છે, જે જીવન જીવવાની એક કળા પણ છે. યોગ દ્વારા આત્મસાત થવાની શક્તિનો વિકાસ થાય છે. યોગ કે ધ્યાન દરમિયાન મન પર દબાણ ન કરવું જોઈએ. મનને મુક્ત રાખવાથી અનુભૂતિ થાય છે અને અનુભૂતિ દ્વારા ધ્યાન અને ધ્યાન સમાધિ તરફ દોરી જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મનની એકાગ્રતા વિકળતિઓને દૂર કરે છે અને વિકળતિઓ દૂર કરવાથી વ્યક્તિના ચારિત્ર્યમાં સકારાત્મક પરિવર્તન આવે છે. આ દરમિયાન તેમણે વધુમાં વધુ લોકોને આ યોગ મહોત્સવમાં ભાગ લેવા અને યોગ તેમજ આરોગ્ય સંબંધિત વિષયો વિશે માહિતીપ્રદ માહિતી મેળવવા અપીલ કરી હતી.