નેહા કમલેશભાઈ પટેલએ પરીક્ષામાં નાપાસ થતા જીંદગીની પરીક્ષા પણ નાપાસ કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: આજે મંગળવારે ધો.12 સાયન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ કરુણાજનક દુઃખદ ઘટના ઘટી હતી. વાઘછીપાની કિશોરી પરીક્ષામાં નાપાસ થતા પાર નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી જીંદગીનો અંત આણી દીધો હતો.
પારડીના મોટા વાઘછીપાના હીરા ફળીયામાં રહેતી 16 વર્ષિય નેહા કમલેશભાઈ પટેલએ ધો.12 સાયન્સની રિપિટ પરીક્ષા આપી હતી. પરંતુ આજે જાહેર થયેલા પરિણામમાં નેહા નાપાસ થતા નિરાશાની ગર્તામાં ડૂબી ગઈ હતી. ચુપચાપ પાર નદીના નાના પુલ ઉપર પહોંચીને મોતની છલાંગ લગાવી દીધી હતી. ઘટનાની જાણ થતા ચન્દ્રપુર લાઈફ સેવર ટ્રસ્ટના તરવૈયા દોડી ગયા હતા. અથાગ મહેનત બાદ પણ નેહાને બચાવી શક્યા નહોતા. કરુણ ઘટનાની વાત વાયુવેગે પ્રસરી જતા અનેક વાલીઓ પણ ગ્લાનીમાં ડૂબી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, પાર નદીનો પુલ હોટ સરકીટ બની ચૂક્યો છે ત્યારે જાહેર સલામતિ માટે પોલીસ પ્રશાસને યોગ્ય આયોજન કરવું જોઈએ તેવી લોકોની તિવ્ર માંગણી ઉઠી છે. પ્રોટેકશન તથા પોલીસ પેટ્રોલીંગની જોગવાઈ કરવી જરૂરી છે. નેહા નાપાસ થતા જ જીંદગીની પરીક્ષા પણનાપાસ કરી હતી.