(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 13
કોરોના સંક્રમણના કાળના બે વર્ષ બાદ પહેલી વખત સુપ્રિમ કોર્ટના નિર્દેશ ઉપર 1રમી માર્ચના રોજ દેશ વ્યાપી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. દમણ-દીવમાં પણ સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં 634 કેસોની સુનાવણી થઈ હતી. જે પૈકી 36 કેસોમાં સમાધાન થયું હતું. સમાધાન થયેલા કેસોમાં પ્રિલીટીગેશનના 14 અને 20 વિલંબના કેસો સામેલ છે. આ લોકઅદાલતમાં કુલ 1 કરોડ 49 લાખ 69 હજાર 360 રૂપિયાનુંસેટલમેન્ટ થયુ હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દમણ-દીવમાં જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અને સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરીટીના ચેરપર્સન શ્રી પી.કે.શર્માની અધ્યક્ષતામાં ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સિનિયર ડિવીઝન શ્રી અમિત પી.કોકાટે અને જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ શ્રી જે.જે.ઈનામદારના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
દીવમાં વિદ્વાન ન્યાયાધીશ શ્રી મહેશ પી.શ્રોફની અધ્યક્ષતામાં લોક અદાલત યોજાઈ હતી. રાષ્ટ્રીય લોક અદાલતમાં વાહન અકસ્માત, વળતર કેસ, શ્રમિક વિવાદ, બેંક લોન, રેવન્યુ, નોકરી, બાળક અને પત્નીના ભરણપોષણ વિવાદ, છુટાછેડા, જમીન સંપાદનના વળતર સંબંધિત કેસો, વિદ્યુત, પાણી બિલના કેસો તથા ચેક બાઉન્સ જેવા કેસોનું અરસ-પરસની સમજુતી અને સુલેહના આધારે સમાધાન કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા અને સત્ર ન્યાયાધીશ શ્રી પી.કે.શર્માએ જણાવ્યું હતું કે, ગરીબ અને કમજોર લોકોને લોક અદાલતના માધ્યમથી ઝડપથી ન્યાય મળે છે. રાષ્ટ્રીય લોક અદાલતના માધ્યમથી કેસોનું નિરાકરણ પણ પ્રભાવશાળી રીતે થાય છે. જેમાં કોઈની જીત પણ નથી અને કોઈ હારતુ પણ નથી. સમયની સાથે સાથે ધનની પણ બચત થાય છે. દરમિયાન લાભાન્વિતોને ચેકનું પણ વિતરણ કરાયું હતું. જિલ્લા બાર એસોસિએશન અનેપેનલના વકીલોનો આભાર પણ પ્રગટ કરાયો હતો.
સંઘપ્રદેશમાં આયોજીત લોક અદાલતની સુનાવણીમાં 634 કેસોને સૂચીબદ્ધ કરાયા હતા. કેસની સુનાવણી દરમિયાન 34નું સમાધાન થયું હતું. વિદ્વાન ન્યાયાધીશોએ 1 કરોડ, 49 લાખ, 69 હજાર 360 રૂપિયાનું સેટલમેન્ટ કરાવ્યું હતું.