કુપોષણ મુકત જિલ્લો અભિયાન અંગેની જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજતા કલેકટર
નવસારીઃ” કુપોષણ મુક્ત નવસારી ” અભિયાન અંતર્ગત રામજીમંદિર હોલ, નવસારી ખાતે કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે નવસારી જિલ્લો કુપોષણ મુકત બનાવીને સામાજીક દાયિત્વ નિભાવવા જિલ્લાના અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લાના દરેક અધિકારી/કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે તેને નિભાવીને સામુહિક પ્રયાસ થકી ગુજરાતનો કુપોષિત મુકત નવસારી જિલ્લાને પ્રથમ બનાવીએ. નવસારી જિલ્લામાં એકપણ બાળક કુપોષિત ન રહે તે માટે જિલ્લાના અમલીકરણ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલી કામગીરી સુપેરે પાર પાડવા જણાવ્યું હતું. લાલ અને પીળા ઝોનમાંથી ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવું તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગામના સરપંચશ્રી, ગામ આગેવાનો, એન.જી.ઓ., આંગણવાડી વર્કરો સાથે બેઠક યોજી કુપોષિત બાળકોને પોષણ કીટ આહાર મળી રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવી સાથે બાળક નિયમિત પોષણક્ષમ આહાર લે છે કે કેમ તે માટે ગામમાંથી પોષણમિત્ર રાખી તેની કાળજી લેવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ જણાવ્યું કે, આગામી ૩૧ મી મે સુધીમાં તમામ રેડઝોન/યલો ઝોન વાળા બાળકોને ગ્રીન ઝોનમાં આવી જાય તે રીતે કામગીરી કરવાની રહેશે. જિલ્લાને કુપોષણ મુકત બનાવવા નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જનઆંદોલનરૂપે કામગીરી હાથ ધરી તમામ અધિકારીઓને આ કામગીરીમાં જોતરાઇ જવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, પ્રદેશ મંત્રીશ્રી શીતલબેન સોની, અધિક નિવાસી કલેકટર શ્રી કેતન જોષી, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં.