(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05
દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ડાંગરના ધરૂનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 60થી વધુ ખેડૂતોએ લાભ લીધો હતો. આ ધરૂ વિતરણમાં દાનહના સામરવરણી, આમળી, અથોલા, નરોલી,કીલવણી ગામના ખેડૂતો ધરૂ લેવા માટે આવ્યા હતા. ખેતીવાડી વિભાગના અધિકારી શ્રી સુરેશભાઈ ભોયાએ મીડિયા પ્રતિનિધિઓને જણાવ્યું હતું કે ગામડાઓમા ખેડૂતો જે ધરૂ માટે બિયારણ નાંખે છે તે વરસાદ નહીં પડતા ધરૂં ઉગી શક્યું નહીં હોય અને બિયારણ પક્ષીઓ ખાય જાય છે જેથી એમને ડાંગરની રોપણી કરવા માટે ધરૂની ઘટ પડી જાય છે. જેના માટે ઘણાં વર્ષથી અમે ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરીએ છીએ જેનાથી ખેડૂતો ડાંગરની રોપણી કરી શકે. આ ધરૂનું વિતરણ લગભગ બે દિવસથી ચાલી રહ્યું છે જેમાં 150 થી વધુ ખેડૂતો લાભ લઈ રહ્યા છે અને પોતપોતાના ખેતરમાં ધરૂની રોપણી કરી રહ્યા છે.