(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.10: સમગ્ર દેશ આઝાદીના 75માં વર્ષની ઉજવણી અલગ અલગ રીતે કરી રહ્યો છે. સરકાર તરફથી પણ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ અનેક કાર્યક્રમો અને તારીખ 13 થી 15દરમ્યાન હર ઘર તિરંગાનું આયોજન કરી ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ પહોંચાડી તેને લહેરાવવાનું નક્કી કરેલ છે.
પારડી વકીલ મંડળ તરફથી પણ આઝાદીના 75માં વર્ષના અનુસંધાને એક તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પારડી વકીલ મંડળના તમામ વકીલો, સભ્યો, હોદેદારો તથા સિનિયર વકીલો સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ તિરંગા બાઈક રેલી પારડી કોર્ટથી દમણીઝાંપા, દમણી ઝાંપાથી કંસારવાડ અને બજારમાં ફરી પરત કોર્ટ પરિસર ખાતે આ રેલી આવી પહોંચી સૌ વકીલોના મુખેથી શહીદો અમર રહો, ભારત માતા કી જય, વંદે માતરમના નાદથી સમગ્ર વાતાવરણ દેશ ભક્તિમય બની ગયું હતું. આ દરમ્યાન કંસારવાડ ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની મૂર્તિને સુતરની આંટી પહેરાવી એમના દર્શન કરી રાષ્ટ્ર ગીત પણ ગાવામાં આવ્યું હતું.
પારડી વકીલ મંડળના પ્રમુખ અને સિનિયર વકીલ ભરતભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતું કે દેશની આઝાદી માટે મહેનત કરનાર દેશ ભક્તો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને આઝાદી માટે શહિદી વ્હોરનારા શહિદોની માનમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું અને આ આઝાદી માટે વકીલોનો પણ ખૂબ મોટો ફાળો અને મહત્વ રહેલું છે.
આ પ્રસંગે તેમણે આઝાદીના 50 વર્ષ દરમ્યાનકોંગ્રેસ-ભાજપ એક થઈ પારડી ખાતે બજારમાં રાતે 12:00 કલાકે નીકળેલ રેલીના સંસ્મરણો યાદ કર્યા હતા.