દક્ષિણ ગુજરાતના તેજતર્રાર અને જાણિતા પત્રકાર શ્રી યુસુફભાઈ શેખ ફાની દુનિયા છોડીને ચાલી ગયા હોવાની આજે ખબર મળતાં ‘લોક પ્રહરી’માં તેમની સાથે ગાળેલો સમય તાજો થયો. ‘લોક પ્રહરી’ યુસુફભાઈ શેખનું માનસ સંતાન હતું. તેમાં મને દાદરા નગરહવેલી અને દમણ-દીવના નિવાસી તંત્રી તરીકેની કામ કરવા મળેલી તક આજે પણ યાદગાર રહી છે. શ્રી યુસુફભાઈ શેખનું માર્ગદર્શન અને હૂંફ હંમેશા હૃદયને સ્પર્શતી હતી.
હમણાં એકાદ મહિના પહેલાં શ્રી યુસુફભાઈ શેખના હાથમાં ‘વર્તમાન પ્રવાહ’ આવ્યું ત્યારે તેમણે રાજીના રેડ થઈને મારી સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. ત્યારે મને ખબર પડી કે તેઓ કેન્સરના રોગથી પિડાઈ રહ્યા હતા. રૂબરૂ મળવાની ખુબ ઈચ્છા હતી પરંતુ પરમ કૃપાળુ પરમાત્માએ આ ઈચ્છાને અધુરી રાખી છે. તેમની સાથે પસાર કરેલો સમય ખરેખર જીવનનો એક લ્હાવો હતો.
આજે શ્રી યુસુફભાઈ શેખ હયાત નથી પરંતુ તેમણે પત્રકારત્વમાં બતાવેલી નિષ્ઠા અને બેદાગ રાખેલી પોતાની પ્રતિભાથી હંમેશા ચિરંજીવ રહેશે.