મચ્છર ઉત્પત્તિના સ્થળોનો નાશ કરવામાં કાર્યકરોને મદદ કરવા સંઘપ્રદેશના નાગરિકોને આરોગ્ય વિભાગની અપીલ
લોકોને તાવની અવગણના ન કરવા અને યોગ્ય તપાસ અને સારવાર માટે શકય તેટલી વહેલી તકે હોસ્પિટલમાં આવવા સૂચન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : ડેંગ્યુ તાવના નિવારણ અને નિયંત્રણ માટે સંઘપ્રદેશમાં પ્રશાસન દ્વારા એક મહત્ત્વપૂર્ણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ, જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓ વારંવાર તમામ ઘરોની મુલાકાત લઈ મચ્છરોના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત ઓગસ્ટ મહિનામાં દાદરા નગર હવેલીમાં કુલ 1 લાખ 70 હજારથી વધુ મકાનો, 1100થી વધુ ઔદ્યોગિક એકમો, 600 બાંધકામ સાઈટ અને 700 ઈંટ-મોર્ટારની દુકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 25થી વધુ હજારો મચ્છર ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો હતો અને 1200 લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી. દરમિયાન 24 લોકો પાસેથી દંડ પણવસૂલવામાં આવ્યો છે.
આ ઝુંબેશ અંતર્ગત આજે ‘ફ્રાઈડે ડ્રાય ડે’ દ્વારા પ્રદેશના ગામડાઓ, સોસાયટીઓ, ચાલીઓ, શાળાઓ, ઔદ્યોગિક એકમો, બાંધકામ સ્થળો અને આરોગ્ય સંસ્થાઓમાંથી લાંબા સમયથી સંગ્રહાયેલુ કે જામી ગયેલું નકામું પાણી દૂર કરવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મચારીઓની સાથે સાથે નગરપાલિકા, જિલ્લા પંચાયતના લોકો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, શાળાના બાળકો, ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો અને લોકોએ મચ્છરોના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવાના આ અભિયાનમાં સક્રિયપણે ભાગ લીધો હતો. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ લોકોને ડેંગ્યુ નિવારણ અંગે માહિતી આપી હતી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ લોકોને પોતાના ઘરની સ્વચ્છતા રાખવા અને મચ્છરોના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવા અનુરોધ કર્યો હતો.
આ સંદર્ભમાં વધુ માહિતી આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પ્રદેશમાં વરસાદી ઋતુ દરમિયાન વાયરલ તાવના કેસોમાં વધારો થાય છે. પરંતુ પ્રશાસનના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા ડેંગ્યુ નિયંત્રણ અભિયાનને કારણે ડેંગ્યુના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ હજુ પણ વાયરલ ફીવરના દર્દીઓ આવી રહ્યા છે. તેથી, પ્રદેશના લોકોને તાવની અવગણના ન કરવાઅને યોગ્ય તપાસ અને સારવાર માટે શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલમાં આવવા વિનંતી છે. ડેંગ્યુથી બચવા માટે મચ્છરોના બ્રીડિંગ સ્થળોનો નાશ કરવો જરૂરી છે. જેને રોકવા માટે આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના કર્મચારીઓ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના તમામ ઘરોની મુલાકાત લઈ મચ્છરોના ઉત્પત્તિ સ્થળોનો નાશ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રદેશના નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે અમારા કાર્યકરોને મચ્છર ઉત્પત્તિના સ્થળોનો નાશ કરવામાં મદદ કરો.
ડેંગ્યુ વિશે વધારાની માહિતી માટે, તમે અમારા આરોગ્ય કર્મચારીઓનો મોબાઈલ નંબર અથવા ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરી શકો છો.