-
કાનૂની કાર્યશાળા પોલીસકર્મીઓને ફોજદારી કેસની તપાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશેઃ ડી.આઈ.જી. મિલિન્દ દુમ્બેરે
-
કોઈપણ પીડિતને ન્યાય અપાવવામાં ગુનાનું અન્વેષણ મહત્વનું પરિબળ : કાયદા સચિવ જે.એમ. પંચાલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20: સંઘપ્રદેશના કાયદા અને ન્યાય વિભાગ દ્વારા પ્રથમ ‘ફોજદારીબાબતોમાં તપાસ પ્રક્રિયાને લગતા સંબંધિત પાસાઓ’ના સંદર્ભમાં એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંઘપ્રદેશના કાનૂન સચિવ શ્રી જે.એમ. પંચાલ, સંઘપ્રદેશના ડી.આઈ.જી. શ્રી મિલિન્દ મહાદેવ દુમ્બેરે, એસ.પી. શ્રી અમિત શર્મા, દમણના પબ્લિક પ્રોસિક્યુટર શ્રી હરિ ઓમ ઉપાધ્યાય, સેલવાસના સરકારી વકીલ શ્રી ગોવર્ધન પુરોહિત, દમણના સહાયક પબ્લિક પ્રોસિક્યુટર શ્રી એસ.એમ. દેશપાંડે, દમણ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ. શ્રી સોહિલ જીવાણી તથા પોલીસતંત્રના તપાસનીશ અધિકારીઓ અને કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં આયોજીત આ કાર્યશાળામાં સંઘપ્રદેશના ડી.આઈ.જી. શ્રી મિલિન્દ મહાદેવ દુમ્બેરેએ જણાવ્યું હતું કે, કાયદા અને ન્યાય વિભાગ દ્વારા આ આયોજીત શિબિરથી પોલીસકર્મીઓને ફોજદારી કેસની તપાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેમણે ભવિષ્યમાં પણ આ પ્રકારની શિબિરના આયોજન માટે આગ્રહ રાખ્યો હતો.
મોટી દમણના આદિવાસી ભવન ખાતે આયોજીત આ કાર્યશાળામાં પોતાનું સ્વાગત વક્તવ્ય આપતા પ્રદેશના કાનૂન સચિવ શ્રી જે.એમ. પંચાલે જણાવ્યું હતું કે, કોઈપણ પીડિતને ન્યાય અપાવવા માટે ગુનાનું અન્વેષણ મહત્વનું પરિબળ છે. તેમણે ચાર્જશીટમાં કેવી કાળજી રાખવી તે બાબતેપણ સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે પરંતુ તેમને 60 થી 80 દિવસમાં ઈન્વેસ્ટીગેશન પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરવાની રહે છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઈન્વેસ્ટીગેશન ઓફિસરને બીજા પણ અનેક કામો આપતા હોય છે. પરંતુ ભુલમાંથી શીખી આગળ વધવા તેમણે પોલીસકર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાનૂન સચિવ શ્રી જે.એમ. પંચાલે પોતે લખેલ હૃદયસ્પર્શીય એક કવિતાના માધ્યમથી પોતાની સંવેદનશીલતા પણ પ્રગટ કરી હતી.
આ પ્રસંગે સુપ્રસિદ્ધ ધારાશાષાી અને સેલવાસના સરકારી વકીલ શ્રી ગોવર્ધન પુરોહિતે પોક્સો એક્ટની સમજણ આપતા જણાવ્યું હતું કે, પોક્સો એક્ટમાં કેસ દાખલ કરતા સમયે પીડિત અથવા પીડિતાના ઉંમરની તપાસ અને તેની સાથે જોડાયેલા ઠોસ પુરાવા એકત્ર કરવા સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યમાં સ્કૂલનું બોનાફાઈડ સર્ટીફિકેટ અથવા એસ.એસ.સી.ની માર્કશીટ મહત્વનો પુરાવો હોય છે. તેમણે પોક્સો હેઠળ દાખલ એફ.આઈ.આર.ની ચાર્જશીટ શક્ય એટલી નાની બનાવવા પણ શિખામણ આપી હતી. તેમણે અપરાધ સાથે જોડાયેલા તમામ સેમ્પલ વગેરે રિકવર કરવા ઝડપ રાખવા અને યોગ્ય તપાસ માટે એફ.એસ.એલ.માં મોકલતા સમયે તેની રસીદ મેળવવા કાળજી રાખવા પણ જણાવ્યું હતું. કારણ કે, આતમામ દસ્તાવેજો આરોપીને સજા અપાવવામાં અદાલતની સુનાવણી દરમિયાન મહત્વનું પરિબળ સાબિત થાય છે. તેમણે જણાવ્યું હતું કે, પોક્સો એક્ટમાં આરોપીઓ માટે કઠોર સજાનું પ્રાવધાન છે તેથી તપાસ અધિકારીની પણ જવાબદારી મોટી છે.
આ કાર્યશાળામાં પબ્લિક પ્રોસિક્યુટર શ્રી હરિ ઓમ ઉપાધ્યાયએ ઈન્ડિયન એવિડન્સ એક્ટ-1867ની કલમ-27 અંગે વિગતવાર સમજણ આપી હતી. જ્યારે દમણના સહાયક પબ્લિક પ્રોસિક્યુટર શ્રી એસ.એમ. દેશપાંડેએ તપાસના વિવિધ તબક્કા અને સાયબર ક્રાઈમ વિશે પોતાનું મનનીય માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ઈન્ટરએકશન અને અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. દમણ પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી સોહિલ જીવાણીએ આભારવિધી આટોપી હતી. જ્યારે કાર્યક્રમનું કુશળ અને રસપ્રદ સંચાલન સહાયક એકાઉન્ટ ઓફિસર શ્રીમતી શર્મિલા પરમાર અને કુ. પ્રતિકા મેહલાએ કર્યું હતું.