મૃતક જીતેન્દ્ર ભીમજીભાઈ ભાનુશાલી ધરમપુર-કુંભારપાડા વિસ્તારમાં કરીયાણાની દુકાન ચલાવતા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30 : વલસાડ જિલ્લાના ધરમપુર કુંભારપાડામાં કિરાનાની દુકાન ચલાવતા ભાનુશાલી વેપારીએ વલસાડ-અતુલ સ્ટેશન નજીક ગોરખપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરતા જિલ્લાના ભાનુશાલી સમાજમાં શોક સાથે ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ધરમપુરના કુંભારપાડા વિસ્તારમાં કરીયાણાની દુકાન ચલાવતા તેમજ સાંઈ એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રભાઈ ભીમજીભાઈ ભાનુશાળી ગતરોજ વલસાડ-અતુલ સ્ટેશન નજીક ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન નીચે કોઈ અગમ્ય કારણોસર પડતુ મુકી આપઘાત કર્યો હતો. મૃતક જીતેન્દ્રભાઈ તેમની બાઈક લઈને અતુલ રેલવે સ્ટેશને આવ્યા હતા અને ટ્રેન હેઠળ પડતું મુક્યું હતું. ટ્રેનના પાયલોટે સ્ટેશન માસ્ટરને જાણ કરી હતી. ત્યારબાદ જી.આર.પી.ની ટીમ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લીધો હતો તેમજ ઓળખ પુરી કરી હતી. યુવાન ભાનુશાલી વેપારીએ અંતિમ દુઃખદ પગલું ભરી લેતા જિલ્લાના ભાનુશાલી સમાજમાંઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.