ગીતાનગરમાં ગરીબ પરિવારને કોર્પોરેટર દિલીપ યાદવે નવું મકાન બનાવી આપ્યું : ફ્રુટ, અનાજ કીટ, વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.17: આજે 17 સપ્ટેમ્બર એટલે ભારત વર્ષના લોકપ્રિય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો 72મો જન્મ દિવસ. દેશ આખો આજે તેમનો જન્મ દિવસ અનેક સેવાકીય કાર્યો અને નોખી, અનોખી રીતે ઉજવી રહ્યા છે તે અંતર્ગત વાપી શહેરમાં ભાજપ, પાલિકા પરિવારે શહેરમાં વિવિધ સેવાકીય કાર્યો દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉલ્લાસ ભેર ઉજવણી કરી હતી.
રાજ્યના કેબિનેટ નાણા અને ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની આગેવાની હેઠળ શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, પાલિકા પ્રમુખ કાશ્મિરાબેન શાહ, ઉપ પ્રમુખ અભય શાહ, કોર્પોરેટર અને હોદ્દેદારોએ શહેરમાં શ્રી મોદીનો જન્મદિન અવિરત સેવા કાર્યો કરીને ઉજવ્યો હતો. તેમાં પ્રમુખ કાર્ય એ કરાયું હતું કે, ગીતાનગર વોર્ડના કોર્પોરેટર દિલીપયાદવ મોદીના પ્રત્યેક જન્મ દિનની ઉજવણી ગરીબોને નવુ મકાન બનાવી આપીને કરે છે તે મુજબ આજે ગરીબ બહેનને સરકારી પુરાવાના અભાવે નવુ મકાન વિવિધ યોજનામાં નહોતુ મળેલ તેથી નવિન મકાન બનાવી શ્રી કનુભાઈ દેસાઈને હસ્તે અર્પણ કરાયું હતું. આ પ્રસંગે ઉપ પ્રમુખ અભય શાહે જણાવ્યું હતું કે, આવું કામ હું અને મારા સાથી કોર્પોરેટરોએ શહેરના ગરીબો માટે મકાનો બનાવવા આગળ આવવું જોઈએ. આજે આ ઉપરાંત ભાજપ પરિવાર દ્વારા શહેરમાં કરાયેલ સેવા કાર્યોમાં સ્વચ્છતા અભિયાન ગીતાનગર સ્ટેશન રોડ, અનાજ કીટ વિતરણ ગીતાનગર, રક્તદાન શિબિર તેરાપંથ ભવન ને.હા. વાપી, ફ્રૂટ વિતરણ હરીયા હોસ્પિટલ અને વૃક્ષારોપણ સી.ઈ.ટી.પી. પ્લાન્ટ જી.આઈ.ડી.સી. વાપીનો સમાવેશ થાય છે.