(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : નાની દમણ દલવાડાના સુપ્રસિદ્ધ બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરમાં આયોજીત 7 દિવસીય શ્રીમદ્ ભાગવત કથાના પાંચમા દિવસે વૃંદાવન ધામના કથાવાચક અનંતાચાર્યજીમહારાજે શ્રદ્ધાળુઓને શ્રી કૃષ્ણ બાળ લીલા, કાળીનાગ મર્દન તથા ગોવર્ધન પૂજાની કથા રોચક શૈલીમાં સંભળાવી હતી.
ભગવાન શ્રી કૃષ્ણએ બાળપણમાં અનેક લીલાઓ કરી હતી. બાળ કૃષ્ણ દરેકનું મન મોહી લેતા હતા. નટખટ સ્વભાવના કારણે યશોદા માતા પાસે તેમની દરરોજ ફરિયાદો આવતી હતી. માઁ તેમને કહેતી હતી કે તું દરરોજ માખણ ચોરી કરીને ખાયા કરે છે ત્યારે તે મોઢું ખોલીને બતાવતો હતો કે મેં માખણ નથી ખાધું.
ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે, ઈન્દ્રમાં શું શક્તિ છે? તેનાથી વધુ શક્તિશાળી તો આપણો ગોવર્ધન પર્વત છે. જેના કારણે જ વરસાદ થાય છે. આપણે ઈન્દ્રથી બળવાન ગોવર્ધનની પૂજા કરવી જોઈએ. ઘણાં વિવાદો પછી શ્રી કૃષ્ણની આ વાત માનવામાં આવી અને વ્રજમાં ગોવર્ધન પૂજાની તૈયારીઓ શરૂ થઈ હતી. આ દરમિયાન શ્રદ્ધાળુઓ ભક્તિના સાગરમાં મંત્રમુગ્ધ બની ગયા હતા.
અત્રે યાદ રહે કે, જયરામદાસ અગ્રવાલ ચેરીટેબલ દ્વારા બાબા વાસુકીનાથ મહાદેવ મંદિરના પાટોત્સવના ઉપલક્ષમાં શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.