(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.08: ચીખલી તાલુકાના સાદકપોરનાં દાદરી ફળિયામાં જમીનના અભાવે આંગણવાડીનાં મકાનનું બાંધકામ ન થઈ શકતા ભૂલકાઓને ખાનગી મકાનના ઓટલા પર બેસાડી શિક્ષણ પૂરું પાઠવવામાં આવી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા ઝડપથી જમીનના પ્રશ્નનું નિરાકરણ લાવી નવા મકાનનું બાંધકામ કરવામાં આવે તેવી સ્થાનિકોમાંમાંગ ઉઠવા પામી છે.
સાદકપોરનાં દાદરી ફળિયા સ્થિત આંગણવાડીમાં હાલે 22 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ આંગણવાડીનું મકાન જર્જરિત થતાં વર્ષ 2013 થી શરૂઆતમાં હેલ્પર બહેનના ઘરના ઓટલા પર અને ત્યારબાદ ભાદેના મકાનમાં આંગણવાડી ચલાવવામાં આવી રહી જો કે ભાડુઆત દ્વારા નાં પાઠવવામાં આવતાં હાલે ફરીથી હેલ્પર બહેનના ઘરના ઓટલે બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. દાદરી ફળિયાની આંગણવાડીનાં મકાન માટે વર્ષો અગાઉ સ્થાનિક રહેવાસી ચંપાબેન જોગીભાઈ પટેલનાં પરિવાર દ્વારા જમીન આપવામાં આવી હતી. પરંતુ આ જમીનમાં બાંધકામ કરાયેલ મકાન જર્જરિત હાલતમાં બનતા અને હાલની સ્થિતિમાં ચંપાબેનનો પરિવાર જમીન આપવા અસમર્થ હોય તેવી સ્થિતિ જમીનના અભાવે નવું મકાન નું બાંધકામ ન થઈ શકતા આંગણવાડી ખાનગી મકાનના ઓટલા પર ચલાવવામાં આવી રહી છે, જેને લઈને ભૂલકાઓને હાલાકી વેઠવાની નોબત આવી છે ત્યારે સ્થાનિક તંત્ર રસ દાખવી સ્થાનિક અગ્રણી સાથે સંકલન સાધી જમીનના પ્રશ્નોનું નિરાકરણ લાવી ઝડપથી મકાનની વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
એપી એમસીનાં ચેરમેન કિશોરભાઈ પટેલનાં જણાવ્યાનુસાર દાદરી ફળિયામાં જમીનનો પ્રશ્ન છે. આ વિસ્તારમાં સિંચાઈવિભાગનાં ખરાબાની જમીન છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા આંગણવાડીનાં મકાન માટે જમીન ફાળવી આપે તો પ્રશ્ન હલ થાય તેમ છે. ગ્રાંટનો અભાવ નથી, જમીનના પ્રશ્નનાં નિરાકણ માટે અમારા પ્રયત્ન ચાલુ જ છે.