(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણબોર્ડ દ્વારા આગામી તા.12 મી ફેબ્રુઆરી, 2023 ને રવિવારના રોજ સવારે 8.30 કલાકે વલસાડ જિલ્લાના વાપી શહેરના ગુંજન સર્કલ ખાતેના કડિયાનાકા ખાતેથી રૂા.પ/- માં સાત્વિક ભોજન આપતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ શુભારંભ કરાવશે.
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં આ યોજના 6 કડિયાનાકા ખાતેથી શરૂઆત કરવામાં આવી રહી છે. જેમાં વલસાડ શહેરમાં ર્ડા.મોંધાભાઈ દેસાઈ હોલની સામે, ધરમપુર નગરમાં હાથીખાના, વાપી શહેરમાં ઝંડાચોક, ભડકમોરા, જી.આઈ.ડી.સી. વાપી અને પારડી શહેરના બસ સ્ટેન્ડ ખાતે આ યોજનાનો બાંધકામ શ્રમિકોને લાભ મળશે.
આ યોજનામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણબોર્ડ દ્વારા ઈ- નિમાર્ણ પોર્ટલમાં નોંધાયેલા શ્રમિકોને શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટેબાંધકામ શ્રમિકે પોતાનું ઈ-નિમાર્ણ કાર્ડ લઈ, શ્રમિક અન્નપૂર્ણા યોજનાના ભોજન વિતરણ કેન્દ્ર પર જઈ કાર્ડમાં દર્શાવેલ ઈ-નિમાર્ણ નંબર અથવા ક્યુ.આર. કોડ સ્કેન કરાવી ભોજન વિતરણ કેન્દ્ર પરથી રૂા.5/- ના ટોકન મારફત તેને અને તેના પરિવારને રૂા.5/- માં સાત્વિક ભોજન મળી શકશે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોઈ તેઓના માટે બુથ પર જ બાંધકામ શ્રમિકની હંગામી નોંધણી થાય છે અને 15 દિવસ સુધી ભોજન મેળવી શકે છે.