નશો એક પ્રકારનો રાક્ષસ છે,જેનાથી લોકો આકર્ષાય છે અને નશો કરતા લોકો રોગના ભોગ પણ બને છે, તે માટે ‘કાલી રાણી’ નાટક દ્વારા ફેલાવાયેલી જાગૃતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.08 : દીવ જિલ્લા પ્રશાસન દ્વારા દીવ કોલેજ અને દીવ પોલિટેક્નિકના સહયોગથી દીવના કેવડી સ્થિત એજ્યુકેશન હબ ખાતે અમદાવાદના માન યુથ સર્કલ ટ્રસ્ટના સૌજન્યથી મિતેષ પાંડવ ક્રિએશન નિર્મિત, ‘નશા મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ‘કાલી રાણી’ નાટકની પ્રસ્તૂતિ કરવામાં આવી હતી.
આ નાટકના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સમજણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નાટક દ્વારા જણાવાયું હતું કે, નશો એ એક પ્રકારનો રાક્ષસ છે, જેનાથી લોકો આકર્ષાય છે. નાટક દ્વારા નશા કરવા માટે માણસો કેવી રીતે પ્રેરીત થાય છે, નશાથી કેટલી મુશ્કેલીઓ આવી શકે છે અને નશાથી લોકો વિવિધ રોગોના ભોગ પણ બને છે, તે આ અદ્ભૂત નાટક દ્વારા સહજતાથી ગમ્મત સાથે તમામને જાગ્રુત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે દીવના ડેપ્યુટી કલેકટર શ્રી શિવમ મિશ્રાએ નાટકની પ્રશંસા કરી કલાકારોને બિરદાવ્યા હતા. પોલિટેક્નિક કોલેજના પ્રિન્સિપાલ શ્રી નીતિનભાઈ ગજવાનીએ પણ બિરદાવી અને કહ્યું કે, આ પ્રકારના કાર્યક્રમો યુવા વર્ગને યોગ્ય અને સમયસરનું માર્ગદર્શન પૂરું પાડે છે. આ અવસરે નાટકના નિર્માતાઅને દિગ્દર્શક શ્રી મિતેષ પાંડવે જિલ્લા પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને નશા મુક્ત થવાની પ્રેરણા મળે છે. નાટકના કલાકારો જુદી જુદી ગુજરાતી તેમજ હિન્દી સિરિયલમાં અદાકારી કરે છે અને સામાજિક શ્રેત્રમાં પણ પોતાનું યોગદાન આપે છે.
નાટકના દિગ્દર્શક અને કલાકાર મિતેષ પાંડવ, માન યુથ સર્કલ ટ્રસ્ટના મંત્રીશ્રી ગુલશન રાય અન્ય કલાકારો ધીરજ પુરાણી, ધરા ત્રિવેદી, મોનીકા પંડ્યા, પૂજા મોદીએ ‘‘કાલી રાણી” નાટકમાં સુંદર રીતે અભિનય કર્યો જેની ઉપસ્થિત મહાનુભાવો તથા વિદ્યાર્થીઓએ પ્રશંસા કરી હતી.
કાર્યક્રમનું આયોજન દીવ કોલેજના પ્રિન્સીપાલ ડો.વિવેક કુમારના માર્ગદર્શનમાં અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવાંગ ભટ્ટ અને દીવ કોલેજના પ્રોફેસર કોકિલા ડાભીએ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળ સંરક્ષણ અધિકારી મૈત્રી ભટ્ટ, બાળ સંરક્ષણનો સ્ટાફ, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.