છેલ્લા ત્રણ રવિવારથી બજાર બંધ હતા : રવિવારે ખુલતા મામલો બિચકાયો : પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.05: વલસાડમાં વિવિધવિસ્તારોમાં રવિવારના દિવસે નાના વેપારીઓ દ્વારા પથારા પાથરીને રવિવારી બજારો ભરાય છે. જેને લઈ મોટા વેપારીઓએ વિરોધ કરતા પાલિકાએ રવિવારી બજારો બંધ કરાવ્યા હતા પરંતુ આ રવિવારે યથાવત રવિવારી બજારો કાર્યરત થયા બાદ પાલિકા એન્ક્રોચમેન્ટ સ્ટાફ રવિવારી બજારો બંધ કરવાની કવાયત હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન નાના વેપારીઓ અને પાલિકા એન્ક્રોચમેન્ટ સ્ટાફ વચ્ચે ભારે ઘર્ષણ ઉભુ થવા પામતા પોલીસે દરમિયાનગીરી કરીને માંડ મામલો થાળે પાડયો હતો.
વલસાડ સીટીમાં સ્ટેશન રોડ, બેચર રોડ, ડેપો સામે શાકભાજી માર્કેટ પાસે રવિવારે રવિવારી બજારો ભરાય છે. દહાણુ, પાલઘર, ઉમરગામ, બિલિમોરા, નવસારી વગેરે સ્થળોથી નાના વેપારીઓ રવિવારે હાટ બજારમાં ધંધો કરવા આવે છે તેથી મોટા વેપારીઓની ફરિયાદો બાદ પાલિકાએ આ બજારો છેલ્લા ત્રણ રવિવારથી બંધ કરાવ્યા હતા પરંતુ ગઈકાલે રવિવારે પથારા હાટ બજાર યથાવત કાર્યરત થઈ જતા પાલિકા એન્ક્રોચમેન્ટ ઈન્સ્પેક્ટર મુન્ના ચૌહાણ અને સ્ટાફે બજાર બંધ કરાવવા માટે પહોંચી ગયા હતા ત્યારે બહારગામથી આવેલા નાના વેપારીઓ અને પાલિકા સાથે ચકમક થઈ હતી. મામલો વધુ બિચકાતા પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડવો પડયો હતો.