સરપંચ મુકેશ ગોસાવીએ વિદ્યાર્થીઓ અને વાલીઓનેબાજરી, જુવાર અને નાગલી(રાગી) જેવા ધાન્યોનું પોષણમૂલ્ય સમજાવી રોજીંદા આહારમાં ઉપયોગમાં લેવા પ્રેરિત કર્યા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય અંતર્ગત કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ્સ (શ્રીઅન્ન) વર્ષ 2023ના ભાગરૂપે એક સપ્તાહ માટે જાગૃતિ અભિયાન ચલાવવા આપેલા નિર્દેશ અંતર્ગત સંઘપ્રદેશના પંચાયતી રાજ વિભાગ દ્વારા વિવિધ પંચાયતોમાં વિશેષ ગ્રામસભા તથા શાળાઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સંવાદનું આયોજન હાથ ધર્યું છે. જેની કડીમાં આજે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા દમણવાડા અને ભામટી શાળામાં શ્રીઅન્ન અંગે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પહેલથી આંતરરાષ્ટ્રીય સ્તરે જાડા ધાન(મિલેટ્સ)નું મહત્વ સ્વીકારાયું છે. આજે બાજરી, જુવાર, નાગલી, કોદરી જેવા ધાન્યોની પોષણક્ષમતા ઉપર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ મહોર મરાઈ છે.
શ્રી મુકેશ ગોસાવીએ દમણવાડા અને ભામટી શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને જુવાર, બાજરી અને નાગલી(રાગી)નો ઉપયોગ કરવા પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જુવાર, બાજરી, નાગલી(રાગી)જેવા અનાજમાંથી ભરપુર માત્રામાં કેલ્શિયમ, આયર્ન જેવા પોષકતત્ત્વો મળે છે. ડાયાબિટિશમાં ડોક્ટરો પણ જુવાર, બાજરી અને નાગલી જેવા ધાન્ય ખાવા માટે ભલામણ કરે છે. ત્યારે આ અનાજનો વધુમાં વધુ ઉપયોગ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
દમણવાડા સ્કૂલના ઉચ્ચ પ્રાથમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના બાળકો, ભામટી ઉચ્ચ પ્રાથમિક શાળાના ઈન્ચાર્જ આચાર્ય, શિક્ષકો તથા વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના અને દમણવાડા તથા ભામટી શાળાના ઈન્ચાર્જ આચાર્યો તથા શિક્ષકોએ પણ શ્રીઅન્નનું મહત્વ સમજાવ્યું હતું.