-
તા.22મી થી 28મી ફેબ્રુઆરી દરમિયાન યોજાનારૂ ‘સ્મૃતિ સપ્તાહ’: વિદ્યાર્થી સેવા અને જનસેવાના વિવિધ કાર્યક્રમો
તા.રરમી ફેબ્રુઆરીએ સાયલી ખાતે યોજાનારી વિશાળ શ્રદ્ધાંજલિ સભામાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી આદિત્ય ઠાકરે, શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતની પણ રહેનારી ઉપસ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.20
દાદરા નગર હવેલીના તત્કાલીક સાંસદ અને પ્રદેશના લોકપ્રિય નેતા સ્વ. મોહનભાઈ ડેલકરનીપ્રથમ પુણ્યતિથિના ઉપલક્ષમાં તા.રરમી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી સુધી ‘સ્મૃતિ સપ્તાહ’ તરીકે શ્રદ્ધાંજલિ આપવા માટે વિશિષ્ટ કાર્યક્રમોની શ્રૃંખલા બનાવી હોવાની માહિતી આપવામાં આવી છે. તા. રરમી ફેબ્રુઆરીના રોજ યોજાનારી વિશાળ શ્રદ્ધાંજલિ સભામાં મહારાષ્ટ્રના યુવા કેબિનેટ મંત્રી શ્રી આદિત્ય ઠાકરે અને શિવસેનાના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા શ્રી સંજય રાઉત સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના હોવાની જાણકારી મળી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર અને શિવસેનાના પ્રદેશ અધ્યક્ષ શ્રી અભિનવ ડેલકરના સીધા માર્ગદર્શન હેઠળ સ્વ. મોહનભાઈ ડેલકરના તમામ સમર્થકો, આદિવાસી વિકાસ સંગઠન, એસ.એસ.આર.મેમોરીયલ ટ્રસ્ટ, નવશક્તિ મહિલા સંગઠન, શિવસેના, મૈ હું મોહન ડેલકર ફાઉન્ડેશન સહિત ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા દરેક નાના મોટા કાર્યકરો એક સાથે તૈયારીમાં જોતરાઈ ગયા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ‘સ્મૃતિ સપ્તાહ’ અંતર્ગત સૌપ્રથમ સાયલી ડેલકર ફાર્મ ખાતે વિશાળ શ્રદ્ધાંજલિ સભા અને પૂજાના કાર્યક્રમનું આયોજન કરાશે. 23મી ફેબ્રુઆરીએ પ0 હજારથી વધુ વિદ્યાર્થીઓને પ્રદેશની તમામ સરકારી શાળાઓમાં સ્કૂલ કિટનું વિતરણ કરાશે. 24મી ફેબ્રુઆરીએ પ્રદેશના જરૂરિયાતમંદ પરિવારોને 10 હજારથી વધુધાબળાનું વિતરણ, રપમી ફેબ્રુઆરીએ દાનહની તમામ સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળનું વિતરણ, 26મી ફેબ્રુઆરીએ સેલવાસની ગૌશાળામાં સેવા કાર્યક્રમ તથા ખરડપાડા અંધજન સેન્ટર ખાતે જરૂરી ઉપકરણો અર્પણ કરવાનો કાર્યક્રમ, 27મી ફેબ્રુઆરીએ સેલવાસ અને ખાનવેલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે અને 28મી ફેબ્રુઆરીના રોજ સેલવાસ આદિવાસી ભવન ખાતે કોરોના વોરિયર્સનું સન્માન અને મૈ હું મોહન ડેલકર ફાઉન્ડેશનની સ્થાપનાના કાર્યક્રમ સાથે ‘સ્મૃતિ સપ્તાહ’નું સમાપન કરાશે.