-
નાની દમણના મશાલચોકથી ધોબીતળાવ સુધી બની રહેલ ગટર નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરી પ્રશાસકશ્રીએ ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા કરેલી તાકિદ
-
પ્રશાસકશ્રીએ સ્વયં ગટરના નિર્માણ કાર્યની ગુણવત્તા અને તેના લેવલની પણ કરેલી ચકાસણીઃ જ્યાં કચાશ દેખાઈ ત્યાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક સુધારવા આપેલો નિર્દેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : સંઘપ્રદેશનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સાંજે નાની દમણના મશાલચોકથી લઈ ધોબીતળાવ સુધી બની રહેલ ગટર નિર્માણ કાર્યનું નિરીક્ષણ કરી ઉપસ્થિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ આજે સાંજે જ લક્ષદ્વીપથી પરત ફર્યા હતા અને કોઈપણ પ્રકારનો વિરામ કર્યા વગર ગવર્નમેન્ટ હાઉસથી સીધા દમણના સચિવાલય કચીગામ ખાતે ધસી ગયા હતા. જ્યાં તેમણે અધિકારીઓ સાથે વિવિધ કામોની સમીક્ષા કર્યા બાદ નાની દમણના મશાલચોકથી ધોબી તળાવ સુધી બની રહેલ ગટર નિર્માણ કાર્યનું નિરીક્ષણ કર્યું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દમણ જિલ્લામાં સડક અને ગટર નિર્માણનું કાર્ય તેજીથી ચાલી રહ્યું છે, છતાં ક્યાંક ક્યાંક દેખાતી ઢીલાસને નજર સમક્ષ રાખી પ્રશાસકશ્રીએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને સંપૂર્ણ ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમર્યાદાની અંદર પૂર્ણ કરવા સખત નિર્દેશ આપ્યો હતો.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સ્વયં ગટર નિર્માણ કાર્યની ગુણવત્તા અને તેના લેવલની ચકાસણી પણ કરી હતી અને જ્યાં કચાશ દેખાઈ ત્યાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક સુધારવા તાકિદ પણ કરી હતી.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલ દરેક પ્રકારના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ગુણવત્તા અને તેના એલીવેશનના સંદર્ભમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરતા નથી. રોડ અને ગટરના કામોની તેઓ સમય સમય ઉપર પોતે ગુણવત્તાની ચકાસણી કરતા રહે છે જેના કારણે છેલ્લા 6 વર્ષ દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં બનેલા મોટાભાગના રોડનો કાંકરો પણ ખર્યો નથી.
આજે પ્રશાસકશ્રીની મુલાકાત દરમિયાન સંઘપ્રદેશના નાણાં સચિવ શ્રી ગૌરવ સિંઘ રાજાવત, દમણના કલેક્ટર અને બાંધકામ સચિવ શ્રી સૌરભ મિશ્રા, ડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રા, દમણ ન.પા.ના ચીફ ઓફિસર શ્રી અરૂણ ગુપ્તા સહિત અન્ય અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.