તમામ વિદ્યાર્થીઓનો અભ્યાસનો ખર્ચ મુંબઈ-અમેરિકાના દાતાઓ ઉઠાવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.23: ચીખલી તાલુકાના કુકેરીની શાંતાબા વિદ્યાલયમાં મેડીકલમાં પ્રવેશ મેળવનાર 14-જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓનો અભ્યાસનો ખર્ચ મુંબઈ-અમેરિકાના દાતાઓ ઉઠાવશે.
ચીખલી તાલુકાના કુકેરી સ્થિત શાંતાબા વિદ્યાલયમાં સરકારની ગ્રાંટ વિના દાતાઓના સહયોગથી વિનામૂલ્યે રહેવા જમવાની સગવડ સાથે ધોરણ-1 થી 12 વિજ્ઞાન પ્રવાહ સુધીનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ શાળામાં અનાથ અને સિંગલ પેરેન્ટ્સ બાળકોને પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવે છે.
આ શાંતાબા વિદ્યાલયના નિટની પરિક્ષામાં સફળતા મેળવી એમબીબીએસમાં 3, બીએએમએસમાં 9 અને બીએચએમએસમાં 2 મળી કુલ 14 જેટલા મેડિકલમાં પ્રવેશ મેળવનાર ભાવિ તબીબોનું સન્માન જાણીતા લેખક અને સેવાભાવી ડોકટર શરભાઈ ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડો.શરદભાઈ ઠાકરે બાળકો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે હું મંદિરોમાં ઓછો જાઉં છું પણ આવા શિક્ષણરૂપીમંદિરમાં વારંવાર આવવાનું ગમે છે. પાયાથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ સુધી બાળકોની ચિંતા કરી તેઓની પડખે રહેતી આ સંસ્થાની મુલાકાતથી અનેરો આનંદ થવા પામ્યો છે. વાત્સલ્યધામના બાળકો સાથે રણમાં ખીલ્યું ગુલાબ, ડોક્ટરની ડાયરી જેવા વિષયો પર સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.
સુરતના દાતા જીજ્ઞેશભાઈ અને નિરજભાઈ એન જે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આકાશ ઈન્સ્ટિટયૂટ મારફત શાંતાબા વિદ્યાલયના બાળકોને નિટનું સ્પેશિયલ કોચિંગ આપવામાં આવ્યું હતું. આ તમામ 14-બાળકોનો ખર્ચ મુંબઈના પીયૂષભાઈ કોઠારી જવેલેક્ષ ફાઉન્ડેશન તથા અમેરિકાના મનસુખભાઈ અને સુરેશભાઈ કરનાર છે. આભાર વિધિ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પરિમલ પરમારે કરી હતી.