કોઈની લાગણી ન દુભાય તે રીતે ધાર્મિક તહેવારો ઉજવવા અનુરોધ કરાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.29: ચીખલીમાં રામ જન્મોત્સવ પૂર્વે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજી કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે ધાર્મિક તહેવારોની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
શ્રી રામ નવમી, શ્રી હનુમાન જયંતિ અને રમઝાન માસ ને લઈને પોલીસ દ્વારા પોલીસ મથકમાં યોજાયેલ શાંતિ સમિતિની બેઠકમાં પીઆઈ કે.જે. ચૌધરી, પીએસઆઈ જે.બી. જાદવ સહિતના અધિકારીઓ દ્વારા બેઠકમાં ઉપસ્થિત હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનોને તમામ ધાર્મિક તહેવારો કોમી એખલાસ વચ્ચે શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે રીતે અને કોઈની લાગણી ન દુભાઈ તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત રામ જન્મોત્સવની ઉજવણી દરમ્યાન પૂરતો બંદોબસ્ત ગોઠવી તમામપ્રકારનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં નરેન્દ્રભાઈ ભટ્ટ, હર્ષદભાઈ પંડ્યા, નૈનેશ કાયસ્થ ઉપરાંત મકબુલભાઈ દભાડ, મુનાફભાઈ શેખ, મહમદભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચીખલીમાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને તાલુકા ભાજપ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મોત્સવ નિમિતે વાણિયાવાડ સ્થિત શ્રી રામજી મંદિરે થી વિશાળ શોભાયાત્રા નીકળશે અને બપોરે 12 કલાકે મહાઆરતી બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમરોલીમાં સાંઈબાબાના મંદિરે પણ પાલખીયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોના સથવારે રામનવમીની ઉજવણી કરવામાં આવશે.