સંઘપ્રદેશના થયેલા ઐતિહાસિક વિકાસ બદલ વ્યક્ત કરેલી પ્રસન્નતા : બીસીએ, એમસીએ, બી-ફાર્મ, એમ-ફાર્મ, બી.બી.એ. અને એમ.બી.એ., એલ.એલ.બી. અને એલ.એલ.એમ. વગેરેના અભ્યાસક્રમોની સરકારી કોલેજ પ્રદેશમાં શરૂ કરવા જિલ્લા કલેક્ટરને કરેલું સૂચન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.25 સેલવાસ જિલ્લાના ભારતીય જનતા યુવા મોરચાના અધ્યક્ષ શ્રી વિશ્વરાજસિંહ દોડિયાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થયેલા ઐતિહાસિક વિકાસની નોંધ લઈ શૈક્ષણિક ક્ષેત્રે ઓર વધુ નવા અભ્યાસક્રમો શરૂ કરવા માટે પ્રશાસન સમક્ષ રજૂઆત કરી છે. ભારતીય જનતા યુવા મોરચા, સેલવાસના પ્રમુખ શ્રી વિશ્વરાજસિંહ દોડિયાએ જિલ્લા કલેક્ટરને લખેલ પત્રમાં જણાવ્યું છે કે, પ્રદેશમાં બીસીએ, એમસીએ, બી-ફાર્મ અને એમ-ફાર્મની સરકારી કોલેજો શરૂ કરવી જોઈએ. તેમણે બી.બી.એ. અને એમ.બી.એ. તથા એલ.એલ.બી. અને એલ.એલ.એમ.ના અભ્યાસક્રમ માટે પણ કોલેજો શરૂ કરવા માંગ કરી છે. પશુ ચિકિત્સકના અભ્યાસક્રમ માટે બીવીએસસી અને એમ.વી.એસ.સી. તથા એમ.એસ.સી., એમ.ફિલ, પી.એચ.ડી. અને એમ.એ., એમ.કોમના અભ્યાસક્રમની પણ સુવિધા ઘર આંગણે સરકારી કોલેજમાં મળી રહે એવી વ્યવસ્થા કરવા પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.તેમણે પ્રદેશમાં બેચલર ઓફ હોમિયોપેથી અને બેચલર ઓફ આયુર્વેદ માટેની કોલેજો શરૂ કરવા પણ રજૂઆત કરી છે. શ્રી વિશ્વરાજસિંહ દોડિયાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે એક યુનિવર્સિટી ખોલવા પણ પોતાની માંગ કરી હતી. તેમણે પ્રદેશમાં 1000 એમ.ડબલ્યુ. પાવર પ્લાન્ટની સ્થાપના કરવા તથા સુગર ફેક્ટરીનું અદ્યતનીકરણ અને સુધારો કરવા પણ પોતાના પ્રસ્તાવ રજૂ કર્યો છે અને અત્યાધુનિક ડેરીની સ્થાપના માટે પણ પોતાનું સૂચન રજૂ કર્યુ છે. અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ શૈક્ષણિક ક્ષેત્રે સ્વનિર્ભર બની રહ્યો છે અને મોટાભાગની સરકારી કોલેજોમાં મેડિકલ, એન્જિનિયરીંગ, નર્સિંગ, પેરામેડિકલ સહિતના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. તેથી તેમણે અન્ય અભ્યાસક્રમો માટે પણ સરકારી કોલેજની સ્થાપના માટે પોતાનો મત રજૂ કર્યો છે.