(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા 38-વર્ષીય હેડ કોસ્ટેબલે ગળે ફાંસો આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ મથકમાં બીટ જમાદાર અને પીએસઓ તરીકે ફરજ બજાવતા સંજય નલીનભાઈ પટેલ (ઉ.વ-38) (હાલ રહે.પોલીસ સ્ટેશની પાછળ આવેલ પોલીસ લાઈનમાં બ્લોક બી રૂમ.નં-6 ચીખલી) (મૂળ રહે.પુનાગામ પટેલ ફળીયા તા.મહુવા) નો પરિવાર વાંસદા તેમના સાસરામાં ગયો હોવાથી તેઓ ઘરે એકલા હતા. આ દરમ્યાન તેમના પરિવારના સભ્યોએ મંગળાવરની રાત્રીના તેમજ બુધવારની સવારના સમયે ફોન કરતા તેમણે ન ઉપાડતા પરિવારના સભ્યોએ ગણદેવી તાલુકાના ગણદેવા ખાતે રહેતા સંબંધી હિરેનભાઈને કહેતા જેઓ બુધવારની સવારના અગિયારેક વાગ્યાના સમયે ચીખલી આવીને રૂમનો દરવાજો ખખડાવતા રૂમમાંથી કોઈ પણ પ્રકારની હલચલ ન જણાતા હિરેનભાઈ ચીખલી પોલીસ મથકમાં જાણ કરતા ચીખલી પોલીસનો સ્ટાફ પહોંચીને દરવાજો ખોલતા સંજયભાઈ પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા આ અંગેની જાહેરાત મરનારના ભાઈ જયેશ નલીનભાઈ પટેલ(રહે.પુનાગામ તા.મહુવા) એ આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસ કવાટર્સમાં જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવનાર હેડ કોન્સ્ટેબલ સંજયભાઈને એસીડીટી, પથરી સહિતની બીમારી હોય અને ગત તા.3 મે થી 5 મે દરમ્યાન ચીખલીની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ કરાયા હતા. ત્યારે બીમારીના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન કરાઈ રહ્યું છે. સંજયભાઈના મૃત્યુથી પત્ની નિરાધાર થવા સાથે બે દીકરી જેમાં એક 4 અને 7 વર્ષીય દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં પણ શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
બનાવને પગલે ડીવાયએસપી એસ.કે.રાય પણ ચીખલી ધસી આવ્યા હતા. તેમના પરિવારને પોલીસ વેલ્ફેર અને બંધુત્વ સહાય યોજનમાંથી તાત્કાલિક સહાય પણ ચૂકવાઈ હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં તેમના અંતિમ સંસ્કાર મહુવા તાલુકાના પુનાગામે વતનમાં પુરા માન-સન્માન સાથે કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.