છેલ્લા કેટલાક દિવસ ખેરગામ રોડનું આંદોલન ચાલી રહ્યું હતું : સરપંચોની હાઈવે ચક્કાજામની ચીમકી બાદ આવેલો નિવેડો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: વલસાડ-ખેરગામ રોડના નવિનિકરણ અને નાળા-પુલનુંસમારકામ ખોરંભે પડયું હતું. વન વિભાગે કામને અટકાવી દીધું હતું. સ્થાનિક 40 થી 50 ગામો માટે ખેરગામ રોડ હાર્ટ લાઈન સમાન છે. તેથી સરપંચો અને સ્થાનિકોમાં ભારે વિરોધ ઉભો થતા કેટલાક દિવસથી આંદોલન ચાલતું હતું પરંતુ લોકમિજાજ બાદ આજે સુખદ નિવેડો આવ્યો હતો અને અટકાવેલ રોડની કામગીરી શરૂ થઈ હતી.
વલસાડથી ખેરગામને જોડતા રોડની નવિનિકરણ તથા પુલ-નાળાના સમારકામની કામગીરી જાહેર બાંધકામ વિભાગે ત્રણ-ચાર મહિના પહેલાં શરૂ કરી હતી. પરંતુ સ્વપ્નામાં રહેલ વનવિભાગ અચાનક જાગી ઉઠેલું તેમજ કામકાજને અટકાવી દીધેલું. વનવિભાગની એન.ઓ.સી. નથી લેવાઈ તેવી આડોડાઈ કરી હતી. કામકાજ બંધ રાખવામાં આવતા 40 ઉપરાંત ગામના સરપંચોએ બાંયો ચઢાવી હતી. કલેક્ટરથી લઈ બધી જગ્યાએ ઉચ્ચ રજૂઆત કરી સદર રોડનું અટકાવેલ કામ શરૂ કરવા આંદોલન સાથે આવેદનપત્ર આપી અલ્ટીમેટમ આપ્યું હતું કે કામ ચાલું નહી થાય તો હાઈવે ચક્કાજામ કરાશે. સરપંચોની લડત રંગ લાવી છે અને કામકાજ શરૂ થઈ ગયેલ છે.