(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.06 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ દરમિયાન પાકિસ્તાની જેલમાં કેદ દમણ-દીવ સહિત સમગ્ર ભારતના માછીમારોને છોડાવવા બુલંદ રજૂઆત કરી હતી.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવ દરિયા કાંઠામાં વસેલો પ્રદેશ છે. જ્યાં માછીમારી એ લોકો માટે રોજગારનું મહત્ત્વનું સાધન છે. મોટાભાગના માછીમારો અશિક્ષિત અને તેમને દરિયાઈ સીમાઓનું જ્ઞાન હોતું નથી. જેના કારણે દરિયામાં માછીમારી કરતા સમયે તેઓ અકસ્માતે પડોશી દેશ પાકિસ્તાનની સરહદમાં પહોંચી જાય છે અને પાકિસ્તાનના સત્તાવાળાઓ પાકિસ્તાનની જેલમાં સબડતા માછીમારો જોડે અમાનવીય અને નિર્દયી વર્તાવ કરતા હોવાની માહિતી પણ લોકસભાને આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની જેલમાં માછીમારોની હાલત ખુબ જ ખરાબછે અને તેમાંના ઘણાં વૃદ્ધ અને બિમાર માછીમારો છે. તેમને અનેક યાતનાઓ અને પીડાઓ ભોગવવા પડી રહી હોવાની વેદના પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોએ તેમના ઘરે લખેલા પત્રમાં વ્યક્ત કરી છે. તેથી દમણ-દીવ સહિત સમગ્ર દેશના માછીમારોને મુક્ત કરાવવા તેમણે માંગણી કરી હતી.