રવિવારે પણ સેલવાસમાં અઢી ઈંચ અને ખાનવેલમાં ત્રણ ઈંચ વરસાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલીમાં શનિ અને રવિવારે ભારે વરસાદ પડવાના કારણે નદી નાળા છલકાયા હતા. જ્યાં ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા દસ દરવાજાઓ 1.7 મીટર સુધી ખોલવામાં આવ્યા હતા.
ભારે વરસાદમાં ખાનવેલથી દુધની તરફ જતા રસ્તા પર કરેણે નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ તુટી પડતા દસથી વધુ ગામોના લોકો સંપર્ક વિહોણા બની ગયા છે. હવે સંપર્કવિહોણા બનેલા ગામના લોકોએ રાંધા ગામ થઈને ચકરાવો મારીને જવાની નોબત આવી છે. રાંધા ગામે પણ નદી પરના પુલ ઉપરથી પાણીનો પ્રવાહ વધવાને કારણે પગપાળા કે વાહન લઈને જવામાં પણ તકલીફ પડી હતી.
રવિવારે વરસેલા ભારે વરસાદમાં સેલવાસમાં 67.6એમએમ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. ખાનવેલમાં 80.0 એમએમ ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 1632.6 એમએમ 64.28 ઇંચ અને ખાનવેલમાં 1436.4 એમએમ 56.55 ઇંચ થયો છે.મધુબન ડેમનું લેવલ 71.70મીટર છે ડેમમા પાણીની આવક 39165 ક્યુસેક અને પાણીની જાવક 25924ક ક્યુસેક નોંધાઈ છે.