(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી 1954માં 2જી ઓગસ્ટના દિને પોર્ટુગીઝોનું ચંગુલમાંથી આઝાદ થયો હતો. જેની શરૂઆત દાદરા ગામે 22 જુલાઈના રોજથી થઈ હતી. દાદરા પંચાયત પરિસરમાં આઝાદી સ્મારક પાસે દાદરાના સરપંચ, ઉપ સરપંચ, દાદરા વિભાગના જિલ્લા પંચાયતના સીઈઓ અને આદિવાસી એકતા પરિષદના પ્રતિનિધિઓ દ્વારા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના માન સન્માનમા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
22 જુલાઈથી બે ઓગસ્ટ સુધી વિવિધ પંચાયતોમાં જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. 22જુલાઈ દાનહવાસીઓ માટે ઘણો મહત્વનો દિવસ છે. કારણ કે, આ દિવસથી પ્રદેશમાં સ્વતંત્ર દિવસની શરૂઆત થઈ હતી. આ અવસરે જિલ્લા પંચાયત સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્મા, દાદરા ગામના સરપંચ શ્રીમતી સુમિત્રાબેન પટેલ, ઉપ સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના સભ્ય, ગ્રામ પંચાયતના સભ્યો, આદિવાસી એકતા પરિષદના પ્રતિનિધિ શ્રી પ્રભુ ટોકીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.