ગરીબ આદિવાસીઓના નામે લાખો રૂપિયાની લોન લઈ તમામ રૂપિયા પોતે ચાઉ કરી ગયો
ફાઈનાન્સ કંપનીના માણસો ઉઘરાણીએ આવતા સમગ્ર ભાંડો ફૂટયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.03: પારડી તાલુકાના પલસાણા દેસાઈવાડ ખાતે રહેતો મૂળ રહેવાસી અને પારડી ખાતે પણ રહેતો અશિત ચંદ્રકાંત દેસાઈ ઉંમર વર્ષ 29 પોતે સમજણમાં આવ્યો ત્યારથી જ અનેક લોકો સાથે ચીટીંગ કરી ચૂકયો હોય નાનપણથી જ ગુરુ નામનું બિરુદ મેળવી ચૂકયો છે.
આમ અસિત ઉર્ફે ગુરુના નામથી ઓળખાતા આ મી. નટવરલાલનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. શહેરમાં તો આ ગુરૂની કરતુતો લોકો જાણતા હોય અહીં દાળ ન ગળતા હવે તેણે ગામડામાં જઈ ગરીબ અને અભણ આદિવાસીઓને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.
ગામડામાં જઈ અભણ આદિવાસીઓને પોતાની વાકછટાથી પ્રભાવિત કરી બેંકો તથા ફાઈનાન્સ કંપનીઓ જોડે પોતાના સંબંધ હોવાનું જણાવી ઓછા ટકાના વ્યાજે તમનેધંધો કરવા માટે લોન આપવાનું કહી આ ગરીબ લોકોના આધાર કાર્ડ બેંકની ચોપડીઓ, અને ફોટા વિગેરે લઈ ફાઈનાન્સ કંપનીના ફોર્મ પર તથા અન્ય કાગળો પર સહી કરાવી એમના નામે લાખો રૂપિયાની લોન લઈ આ લોન પોતે વાપરી નાખી હતી. આ વાતથી અજાણ આ ગરીબ આદિવાસીઓને ઘરે ફાઈનાન્સ કંપનીના માણસો લોનના હપ્તાની ઉઘરાણી કરવા આવતા અને લોન ન ભરે તો ઘર પણ સીલ કરીશું ધમકી મળતા આ ગરીબ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોતે અસીત ઉર્ફે ગુરુની વાતોમાં આવી છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.
આ તમામ લોકોએ આ અંગેની જાણ અસિત ઉર્ફે ગુરુને કરતા તેણે શરૂઆતમાં પૈસા ચૂકવી આપવા જણાવ્યું હતું પરંતુ થોડા દિવસો પછી આ તમામ આદિવાસીઓને પોતાના ઘરે આવવાની ના પાડી જાતિ વિષયક ગાળો આપી મારી ઓળખાણ ગાંધીનગર સુધી હોવાનું જણાવી અને પોલીસ તો મારા ગજવામાં હોવાનું કહી પૈસા આપવાની ના કહી દઈ હવે ઘરે આવ્યા તો જાનથી મરાવી નાખીશ, મારી પાસે ઘણા ગુંડાઓ હોવાનું જણાવ્યું હતું.
આ અસિત ઉર્ફે ગુરુના સંપર્કમાં આવી છેતરપિંડીનો ભોગ બનેલા પારડી તાલુકાના ડુમલાવ મંદિર ફળિયા ખાતે રહેતા ફરીદાબેન નિલેશભાઈ પટેલના નામે આશરે 6 લાખની લોન, અંકિતાબેન હસમુખભાઈપટેલના નામે 4 લાખની લોન, કરીનાબેન હસમુખભાઈ પટેલને નામે 2 લાખની લોન અને ખેરલાવના રહેવાસી ઈલાબેન સોમાભાઈ પટેલના નામે રૂા.1,50,000 ની લોન આમ કુલ 14.35 લાખ જેટલી માતબર રકમની લોન લઈ આ તમામ લોનની રકમ પોતે વાપરી નાખી અરજદારોને પૈસા ન આપી તથા લોનની રકમ પણ ફાઈનાન્સ કંપનીમાં ભરપાઈ ન કરી તેઓને જાતિ વિષયક ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ તમામ બહેનોએ આજરોજ પારડી પોલીસ સ્ટેશનને આવી આ ચીટર અસિત ઉર્ફે ગુરુ ચંદ્રકાંત દેસાઈ વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરી પોતાને ન્યાય અપાવવા જણાવ્યું હતું.
પોતાને રાજકીય વર્ગ વાળો ગણાવતો અને પોલીસને ખિસ્સામાં રાખીને ચાલતા આ મિસ્ટર નટવરલાલ એવા અસિત ઉર્ફે ગુરુ ચંદ્રકાંત દેસાઈ પર પોલીસ કેવા પગલાં લે એ જોવું રહ્યું.