-
બે દિવસીય ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલી ભાષણ સાથે થયેલો પ્રારંભઃ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ વિનય સહષાબુદ્ધે, પંચાયતી રાજરાજ્યમંત્રી કપિલ મોરેશ્વર પાટીલ વગેરેએ આપેલું સંભાષણ
-
ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષે સંગઠનમાં જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની ભૂમિકાની રસપ્રદ આપેલી સમજણ સાથે બે દિવસના ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદની થયેલી પૂર્ણાહુતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણમાં આયોજીત બે દિવસીય ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદનું શનિવારે સમાપન થયું હતું. બે દિવસીય ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદમાં 6 રાજ્યોના જિલ્લા પંચાયત અધ્યક્ષો અને ઉપાધ્યક્ષો મળી કુલ 145 જેટલા સભ્યોની ઉપસ્થિતિ રહી હતી. આ ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ની સાથે સબકા પ્રયાસથી 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે વિકસિત પંચાયત ગામ બનાવવા મનોમંથન કરવામાં આવ્યું હતું.
બે દિવસીય ક્ષેત્રિય પંચાયત પરિષદના સત્રમાં પ્રારંભિક સંબોધન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. તેમણે ગતિશીલ અને પારદર્શક વહીવટનો ગુરૂમંત્ર આપ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાએ પોતપોતાની જિલ્લા પંચાયતોમાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ વિકાસકામોની યોજનાથી કામ કરી ગ્રામ પંચાયતો સુધી ઉત્તમમાં ઉત્તમ કામ કરવા અને ગ્રામ પંચાયતના વિકાસકામોથી ગામોનેવિકસિત કરી વિકસિત જિલ્લો બનાવવાના વિષય ઉપર માર્ગદર્શન આપ્યું હતું.
કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી શોભા કરંદલાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ કલ્યાણ યોજનાઓના સંબંધમાં જાણકારી આપી જિલ્લાથી ગ્રામ પંચાયત સુધી યોજનાઓને કેવી રીતે પહોંચાડવી જોઈએ તેની સમજ આપી હતી.
ભાજપના રાષ્ટ્રીય સહ-સંગઠન મહામંત્રી શ્રી શિવપ્રકાશે વિકાસકામોના સંબંધમાં માર્ગદર્શન આપ્યું હતું અને ભાજપના વરિષ્ઠ નેતા તથા રાજ્યસભાના સાંસદ ડો. વિનય સહસ્ત્રબુદ્ધેએ વિવિધ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર જ્ઞાનવર્ધન કરી ક્ષેત્રિય પંચાયતી રાજ યોજના સંબંધિત કામોની વિશેષ જાણકારી આપી હતી.
શુક્રવારે રાત્રે 8 વાગ્યે નાની દમણના બીચ રોડ, નમો પથ ખાતે દાદરા નગર હવેલી અને દમણ-દીવના કલાકારોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેનો ભરપુર આનંદ લેવામાં આવ્યો હતો.
6 રાજ્યોથી આવેલ જિલ્લા પંચાયતના જન પ્રતિનિધિઓએ તેમના જિલ્લામાં થયેલ વિવિધ સરાહનીય કામોની જાણકારી આપી હતી અને તેનાથી પણ ઉત્તમ થઈ શકે તે માટે અન્ય સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા.
તા.19મી ઓગસ્ટ, 2023ના શનિવારે 6 રાજ્યોના જિલ્લા પંચાયત અધ્યક્ષ અને ઉપ પ્રમુખોએ દમણના વિવિધ વિકાસકામોનું નિરીક્ષણ કર્યું હતું અને ‘મેરાદેશ, મેરી મીટ્ટી’ અભિયાન અંતર્ગત અમૃત વાટિકા જમ્પોર ખાતે 75 વૃક્ષોનું વાવેતર કર્યું હતું.
કેન્દ્રિય પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલે ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદમાં તેમના મંત્રાલય દ્વારા જિલ્લા પંચાયતો અને ગ્રામ પંચાયતોને આપવામાં આવતી સવલતો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કામો અને રાજ્યોમાં તેમની જિલ્લા પંચાયતોના અધ્યક્ષો દ્વારા કરાયેલ ઉત્તમ કામોનું પ્રદર્શન પણ રજૂ કરાયું હતું.
સમાપન સત્રમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન શ્રી બી.એલ.સંતોષે સંગઠનમાં જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોની ભૂમિકા ખુબ જ રસપ્રદ રીતે સમજાવી હતી. 2024માં ગ્રામ્ય સ્તરના મજબૂત માળખાની પણ સમજ આપી હતી. મંચ ઉપર રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાશ વિજયવર્ગીય, રાજ્યસભા સાંસદ ડો. વિનય સહસ્ત્રબુદ્ધે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા.
દમણ ખાતે આયોજીત ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદના કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રદેશ અધ્યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્વમાં પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ, વિવિધ મોર્ચાના સમન્વય સાથે એક ટીમ બની કામ કર્યું હતું. જેના પરિણામે સમગ્ર કાર્યક્રમ સફળ અને યાદગારરહ્યો હતો.