ગણેશ મહોત્સવ અંગે ગણેશ આયોજકો અને પોલીસ વચ્ચે અવઢવ : પરમિશન જલદી આપવાની ધારાસભ્યની માંગ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.03: વલસાડમાં ગણેશ મહોત્સવમાં 9 ફૂટથી વધુ ઊંચાઈની શ્રીજીની પ્રતિમા રાખવાનો બહાર પડાયેલ પરિપત્ર, જાહેરનામા બાદ ગણેશ આયોજકો અને પોલીસ વચ્ચે આંટી પડી રહેલ છે. આ સંદર્ભે ધારાસભ્ય ભરતભાઈ પટેલએ ગૃહમંત્રીને લેખિત પત્ર લખીને ગણેશ મહોત્સવની અટવાયેલ જરૂરી પરમિશન અંગે ત્વરીત નિરાકરણ લાવવાની માંગ કરી છે.
આગામી તા.19 સપ્ટેમ્બરથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થાય છે તે પહેલા જાહેરનામું બહાર પડાયું કે, 9 ફૂટથી ઊંચી શ્રીજીની પ્રતિમા ના હોવી જોઈએ. આ જાહેરનામાનો ગણેશ આયોજકો વિરોધ કરી રહ્યા છે. આ બાબતે જરૂરી પરમિશન અટવાઈ પડી છે. તેથી ધારાસભ્ય ભરતભાઈ પટેલએ ગૃહમંત્રીને લેખિત પત્ર લખીને માંગણી કરી છે કે, મુસ્લિમોના તાજીયા 15 ફૂટથી ઊંચા હતા, શહેરમાં ફર્યા હતા તો શ્રીજીની મૂર્તિનો 9 ફૂટનો માપદંડ રખાયો હોવાથી ગણેશ ભક્તોની લાગણી દુભાઈ છે. બીજુ મૂર્તિઓના ઓર્ઢર ચાર-પાંચ મહિના પહેલા અપાઈ ચૂકેલા છે તેથી યોગ્ય નિરાકરણ માટે ધારાસભ્યએ ગૃહમંત્રીને લેખિત રજૂઆત કરી માંગ કરીછે.