માછીમારો પોરબંદરથી માદરે વતન સેલવાસ, ઉમરગામ, મરોલી તરફ મચ્છીમારી સિઝન પૂર્ણ કરી આવી રહ્યા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: પોરબંદરથી ઉમરગામ વિસ્તારના માછીમારો લક્ઝરી બસમાં માદરે વતન આવી રહ્યા હતા ત્યારે બગવાડા ટોલનાકા ઉપર બસનો પાટો તૂટયો. બસ પલટી મારતા સહેજ સહેજમાં બચી ગઈ હતી તેથી તમામ માછીમારોનો આબાદ બચાવ થયો હતો.
ઉમરગામ, મરોલી વિસ્તારના માછીમારો માછીમારી કે બોટમાં નોકરી કરવા પોરબંદર બંદરે મોટી સંખ્યામાં સ્થાયી થઈ વ્યવસાય નોકરી કરતા હોય છે. ગતરોજ પોરબંદરથી લક્ઝરી બસમાં બેસી માછીમારો માદરે વતન સેલવાસ, ઉમરગામ, મરોલી આવી રહ્યા હતા ત્યારે આજે બુધવારે સવારે બગવાડા ટોલનાકા ઉપર લક્ઝરી બસનો પાટો તૂટી જતા બસ પલટી મારતા બચી ગઈ હતી. જો કે સદ્દનસીબે બસ ટોલ ટ્રેક ઉપર હોવાથી ગતિ મર્યાદામાં હોવાથી બસ પલટી નહોતી મારી પણ ખડી પડી હતી તેથી બસમાં બેઠેલા 60 ઉપરાંત મુસાફરોનો બાલબાલ બચાવ થયો હતો. હાઈવે ઉપર ચિત્ર વિચિત્ર પ્રકારના અકસ્માત થતા હોય છે. મુસાફરોને રઝળવાનો સમય આવ્યો હતો. પરંતુ વતનથી તદ્દન નજીક આવી ગયા હોવાથી હાશકારો અનુભવી રહ્યા હતા.