-
સંઘપ્રદેશ પ્રશાસનના મહિલા અને બાળ વિકાસ તથા આરોગ્ય વિભાગ અને નમો મેડિકલ અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટના સહિયારા પ્રયાસથી ગર્ભાવસ્થા, શૈશવ, બાળપણ અને કિશોરાવસ્થામાં કુપોષણના સંદર્ભમાં શરૂ કરેલું જાગૃતિ અભિયાન
-
પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ આરોગ્ય સચિવ ડો. અરૂણ ટી. અને મહિલા અને બાળ વિકાસ સચિવ ફરમન બ્રહ્મા અને આરોગ્ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસના માર્ગદર્શનમાં સામુદાયિક આરોગ્ય વિભાગ, નમો મેડિકલ અને એજ્યુકેશન રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા ‘‘કુપોષણ સામે બાથ ભીડવા વ્યૂહાત્મક આયોજન” માટે યોજાયેલ એક કાર્યશાળા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.03 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવમાંથી કુપોષણની સમસ્યાને નાબૂદ કરવા લીધેલાં સંકલ્પને સાકાર કરવા સંઘપ્રદેશ પ્રશાસનના મહિલા અને બાળ વિકાસ તથા આરોગ્ય વિભાગ અને નમો મેડિકલ અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટે સહિયારો પ્રયાસ કરી ગર્ભાવસ્થા, શૈશવ, બાળપણ અને કિશોર અવસ્થામાં કુપોષણના સંદર્ભમાં જાગૃતિ પેદા કરવા એક અભિયાન શરૂ કર્યું છે. જેની કડીમાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ મુજબ આરોગ્ય સચિવ ડો. અરૂણ ટી. અને મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી ફરમન બ્રહ્મા અને આરોગ્ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસના માર્ગદર્શનમાં સામુદાયિક આરોગ્ય વિભાગ, નમો મેડિકલ અને એજ્યુકેશન રિસર્ચ ઈન્સ્ટિટયૂટ દ્વારા ‘‘કુપોષણ સામે બાથ ભીડવા વ્યૂહાત્મક આયોજન” માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગ, એકીકૃત બાલ વિકાસ સેવા, મહિલા અને બાળ વિકાસ જેવા વિવિધ વિભાગોના હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રારંભમાં નમો મેડિકલ એજ્યુકેશન અને રિચર્સ ઈન્સ્ટિટયૂટના પ્રોફેસરો તથા હેડ ઓફ ડિપાર્ટમેન્ટે વર્કશોપમાં ભાગ લેનારાઓનું સ્વાગત કર્યું હતું.
પ્રી-ટેસ્ટની સાથે સત્રની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વક્તાઓએ કુપોષણ શું છે? અને કુપોષિત કોને કહેવામાં આવે?, વર્તમાન પરિસ્થિતિ અનેકુપોષણનું કારણ, ચોક્કસ મનોવૈજ્ઞાનિક માપદંડનું મહત્વ, વિવિધ હિતધારક વિભાગો દ્વારા કુપોષણ નાબૂદ કરવા માટે લેવામાં આવી રહેલા પગલાં, અન્ય રાજ્યો અને સંઘપ્રદેશની સારી પ્રણાલીઓ તથા પોષણ પુનર્વાસ કેન્દ્રોની બાબતમાં સંક્ષિપ્ત જાણકારી આપવામાં આવી હતી.
અંતિમ સત્રમાં કુપોષણની સામે લડવા માટે વિવિધ વિભાગોના સમન્વયથી રણનીતિના વિકાસ ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી. આ કાર્યશાળાને આરોગ્ય સચિવ શ્રી અરૂણ ટી. અને મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી ફરમન બ્રહ્માએ સંબોધિત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સપ્ટેમ્બર, 2023ને છઠ્ઠા ‘રાષ્ટ્રીય પોષણ માસ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. પોષણ માસ 2023નું કેન્દ્ર બિંદુ માનવજીવનના મહત્ત્વપૂર્ણ તબક્કા ગર્ભાવસ્થા, શૈશવ, બાળપણ અને કિશોરાવસ્થાની બાબતમાં વ્યાપક જાગૃતિ પેદા કરવાનો છે. જેના ઉદ્દેશથી સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત ઉપર કેન્દ્રિત વિષયવસ્તુના માધ્યમથી સમગ્ર ભારતમાં પોષણ સંબંધી સમજણને ઉત્તેજન આપવાનો છે.