છેલ્લા 15 દિવસથી વાપીમાં ભંગારના ગોડાઉનોમાં
આગ લાગવાના સતત બની રહેલા બનાવ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વાપી રાતા વિસ્તારમાં આવેલ ભરતનગરમાં આજે બુધવારે સવારે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. રહેઠાણ વિસ્તાર વચ્ચે કાર્યરત ભંગારના ગોડાઉનમાં લાગી ઉઠેલી આગથી સ્થાનિક રહીશોમાં વ્યાપક ગભરાટ પ્રસરી ગયો હતો.
વાપીમાં છેલ્લા પંદર દિવસથી કરવડ, ડુંગરી ફળીયા, ડુંગરા જેવા વિસ્તારોમાં રહેઠાણ વિસ્તારમાં બેરોકટોક ધમધમી રહેલા ભંગારના ગોડાઉનોમાંએક પછી એક એમ લગાતાર ભિષણ આગ લાગવાના બનાવો બની રહ્યા છે. તેવો વધુ એક બનાવ આજે બન્યો હતો. રાતા ભરતનગર વિસ્તારમાં અનુપ શર્મા નામના ઈસમના ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી હતી. આગના ધુવાડા રાતા ખાડી સુધી જોવા મળતા હતા. નોટીફાઈડ ફાયરની બે ગાડી ઘટના સ્થળે ધસી જઈને આગ બુઝાવવાની જહેમત આરંભી હતી. પોલીસે 15 જેટલા ભંગારીયા સામે ફરિયાદ નોંધાવી છે છતાં હજુ આગના બનાવો વણથંભ્યા ચાલી રહ્યા છે અને તે પણ મોટાભાગના ગોડાઉનો રહીશી વિસ્તારમાં ધમધમે છે ત્યારે પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે.