સરોધીની કાજલબેન નાયકાને પ્રસુતિ માટે હોસ્પિટલમાં દાખલ કરી હતી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.14: વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સરોધી ગામની કાજલબેન નાયકાને પ્રસુતિ માટે દાખલ કરી હતી. પરંતુ પ્રસુતિમાં પૂત્ર જન્મ થયા બાદ કાજલની તબિયત વધુ બગડતા મૃત્યુ પામી હતી. આ મામલે હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો કરી બબાલ કરતા પોલીસે દરમિયાનગીરી કરીને મામલો માંડ માંડ થાળે પાડયો હતો.
વલસાડ નજીક આવેલ સરોધી ગામની 21 વર્ષિય કાજલબેન રાહુલભાઈ નાયકાને ગત તા.12ના રોજ કસ્તુરબા હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરી હતી. જ્યાં સમયસર પ્રસુતિ થયેલી, જેમાં પૂત્રનો જન્મ થયો હતોપરંતુ ત્યારબાદ કાજલની તબિયત વધુ લથડી હતી તેથી આઈ.સી.યુ.માં ખસેડાઈ હતી. જ્યાં જરૂરી સારવાર તબિબોએ હાથ ધરીને ગર્ભાશય સંકોચાઈ ગયું હોવાથી ઓપરેશન કરેલું પરંતુ કાજલબેનનું કરુણ મૃત્યુ થયું હતું તેથી પરિવારજનોએ હોસ્પિટલની બેદરકારીના આક્ષેપો કરી બબાલ કરી હતી. સિટી પોલીસ દોડી આવી હતી. માંડ માંડ મામલો પોલીસે થાળે પાડયો હતો. પી.એમ. રીપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.