(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06 : સેલવાસના રીંગરોડ પર છેલ્લા એક અઠવાડિયાથી કામ ચાલી રહેલ છે જેના કારણે બાલાજી જેમ્સ સોસાયટીની સિવરેજ લાઈન બંધ થઈ જવા પામી છે. જેના કારણે ડ્રેનેજનું ગંદુ પાણી આખી સોસાયટીમાં ફરી વળતાં ભારે ગંદકીનો માહોલ ઉભો થયો છે. ડ્રેનેજના ફેલાયેલા ગંદા પાણીથી સોસાયટીના તથા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે યાદ રહે દાનહમાં ડેગ્યુનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે અને ડેન્ગ્યુના કારણે કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આ ડ્રેનેજના પાણીના કારણેસોસાયટીમાં રોગ ફેલાવવાનો પણ ભય સતાવી રહ્યો છે. શાળાએ જતા બાળકોને પણ વહી રહેલા ડ્રેનેજના ગંદા દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ સમસ્યા સંદર્ભે સેલવાસ નગરપાલિકા તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે એવી સોસાયટીના લોકોની લાગણી અને માંગણી છે.