ઘટનાની જાણ થતાં પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે ધસી ગયાઃ ઈજાગ્રસ્ત શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ચીખલી એસટી ડેપોનું લાખો રૂપિયાના ખર્ચે બાંધકામ ચાલી રહ્યું છે. આ દરમ્યાન શુક્રવારના રોજ સ્લેબમાં કોન્ક્રીટ ભરવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન બપોરના સમયે અચાનક સ્લેબના લાકડાના ટેકા તૂટવા સાથે સેન્ટિંગ પ્લેટ, સળિયા સહિતનું માળખું અને કોન્ક્રીટ અચાનક ધરાશયી થતા ત્યાં કામ કરી રહેલા શ્રમિકોમાં અફરા તફરી મચી જવા પામી હતી. અને આ રીતે ચાલુ કામે સ્લેબ ધરાશયી થતા આઠ જેટલા શ્રમિકોને નાની મોટી ઈજા થઈ હતી. બનાવને પગલે આસપાસના લોકો પણ ધસી આવી ઈજાગ્રસ્ત તમામને 108 મારફતે આલીપોર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સ્થળ પર પ્રાંત અધિકારી મિતેશભાઈ પટેલ, મામલતદાર અર્જુનભાઈ વસાવા, ટીડીઓ ચેતનભાઈ દેસાઈ, પીએસઆઈ-એચ.એસ.પટેલ સહિતના ધસી આવ્યા હતા.
એસટી ડેપોના સ્લેબ ભરતી વખતે ધરાશયી થયાના બનાવમાં કોન્ટ્રાકટરની ગંભીર બેદરકારી બહાર આવવા પામી છે. બાંધકામમાં ઉપયયોગમાં લેવાઈ રહેલ રેતી, ઈંટ સહિતના માલસામાનની ગુણવત્તા પણ ચકાસવી જરૂરી જણાઈ રહી છે. નિર્માણ સમયે જ સ્લેબ ધરાશયી થતો હોય ત્યારે કામની ગુણવત્તા કેવી હશે. તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. સમગ્ર બનાવમાં ભ્રષ્ટાચારસાથે તકલાદી કામની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે કામની ગુણવતા સાથે શ્રમિકોની સલામતી માટે બેદરકારી સંદર્ભે પણ તપાસ કરી જવાબદાર સામે પગલા લેવાઈ તે જરૂરી છે. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેશભાઈએ પણ ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
આલીપોર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રમિકો
(1) જીગ્નેશ મંગુભાઈ હળપતિ, (2) દિવ્યેશ ભીમભાઈ રાઠોડ, (3) યશ સતિષભાઈ હળપતિ (ત્રણેય રહે.રાનકુવા નવાનગર તા.ચીખલી), (4) ઊર્મિલાબેન અશ્વિનભાઈ (રહે.વાંસદા કોરિપાડા ફળીયા), (5) સરું જયંતીભાઈ (રહે.વાંસદા નિશાળ ફળીયા તા.વાંસદા), નિમેષ છગનભાઈ (વાંસદા ચોરવણી), (6) ઉપરોક્ત પૈકીના બે ને આલીપોર હોસ્પિટલમાંથી પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ હતી.
ચીખલીની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રમિકો
(1) કાળુભાઈ જેઠીયાભાઈ ગામીત, (2) સવિતાબેન કાળુભાઈ ગામીત (બંને રહે.નવાપુર મહારાષ્ટ્ર).