પીએમ કિસાન અને ઈન્કમટેક્ષ પોર્ટલને મર્જ કરતા સમગ્ર હકીકત બહાર આવવા પામી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.16: ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તે છ હજાર રૂપિયા મળે છે. જેમાં ચીખલી તાલુકામાં 38,735 જેટલા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે. આ યોજનામાં થોડા મહિનાઓ પૂર્વે સરકાર દ્વારા પીએમ કિસાન અને ઈન્કમટેક્ષ પોર્ટલને મર્જ કરતા કેટલાક ઈન્કમટેક્ષ રિટર્નની ફાઈલ કરેલ હોય તેવા ખેડૂતો પણ લાભ લેતા હોવાનું બહાર આવતાઆવા ગેર પાત્રતા ધરાવતા તમામ ઈન્કમટેક્ષ ધારકોને લાભ કેન્દ્ર સરકાર કક્ષાએથી આપોઆપ અટકાવવામાં આવ્યો છે.
સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે જે નિયમો ઠરાવવામાં આવ્યા હતા. તેમાં યોજનામાં ખેડૂતનું રજીસ્ટ્રેશન થયાના છેલ્લા આકરણી વર્ષમાં ખેડૂત ઈન્કમટેક્ષ ધારક હોય તો તે ખેડૂત યોજનાનો લાભ લેવા માટે ગેર પાત્રતા ધરાવતો હોવાની જોગવાઈ કરાઈ હતી.
હાલે ચીખલી તાલુકા સહિત જિલ્લામાં અંદાજે બે હજાર જેટલા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને ઈન્કમટેક્ષ ફાઈલ થયેલ હોવા છતાં સરકારમાં ખોટી માહિતી રજૂ કરી આ યોજનાનો ગેરકાયદેસર લાભ મેળવી રહ્યા હોવાનું બહાર આવેલ જે યોગ્ય નથી આવા ખેડૂતોનો લાભ સરકાર દ્વારા આપોઆપ અટકાવવામાં આવેલ છે. અત્યાર સુધીમાં આ યોજના હેઠળ મળેલ કુલ હપ્તાની લાભની રકમ રિકવરી પેટે સરકારના બેન્ક ખાતામાં ચલણ દ્વારા જમા કરાવવાની થાય છે. જે ઝડપથી જમા કરાવવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સંબંધિત ખેડૂત લાભાર્થીઓને નોટિસ પાઠવી જાણ કરવામાં આવી છે. જિલ્લામાં અંદાજે બે હજાર ખેડૂતોને ફટકારેલી નોટિસમાં રિકવરીની રકમ 1.50 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું જાણવા મળ્યુંહતું.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં સરકારના આ પગલાની શેરડી સાથે ધેધણ પીલાઈ જાય તેવો ઘાટ સર્જાવા પામ્યો છે.
કેટલાક ખેડૂતોએ ટેક્ષ ભરવાનો ન થતો હોય માત્ર ઈન્કમટેક્ષ રિટર્નની ફાઈલ જ બનાવી હતી. અને ટેક્ષ ભર્યો ન હતો. તાલુકાના એક પેન્શન ધારક ખેડૂતને રિકવરી માટે નોટિસ મળી છે. તેનું પેન્શન માંડ 2500/- રૂપિયાની આસપાસ આવે છે. મોટા અને આર્થિક સધ્ધરતા ધરાવતા ખેરખરનો ટેક્ષ ભરતા હોય તેવા ખેડૂતો લાભ ન લે માટે સરકારનું પગલું યોગ્ય જણાઈ રહ્યું છે. પરંતુ તેમાં શેરડી સાથે ધેધણ પીલાઈ જાય તેવો ઘાટ સર્જાયો છે.
ચીખલીના મદદનીશ ખેતી નિયામક નિલેશભાઈ ગામીતના જણાવ્યાનુસાર ચીખલી તાલુકામાં ઈન્કમટેક્ષ રિટર્નની ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લામાંથી નોટિસ ફટકારવામાં આવી છે. તાલુકામાં કેટલા ખેડૂતોને નોટિસ ફટકારવામાં આવી તે જિલ્લામાંથી જ જાણી શકાશે.