(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સાંજે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને કિલ્લા પરિસરની અંદર સૌંદર્યકરણ માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કિલ્લા તરફ ફરવા આવેલા પ્રવાસીઓ સાથે પણ વાતચીત કરી તેમના અનુભવની જાણકારી મેળવી હતી. તેમણે પ્રવાસીઓને દમણ પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા તો નથી પડી? તે બાબતે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાના નવજીવન માટે અથાક પ્રયાસો કર્યાછે. પહેલાં કિલ્લા ઉપર સરળતાથી ફરી શકવાની કોઈ શક્યતા જ નહીં હતી. ઠેર ઠેર ઝાડ, ઝાંખરા અને ગંદકીથી પથરાયેલો કિલ્લાના ઉપરનો વિસ્તાર હતો. પ્રશાસકશ્રીએ એક છેડેથી બીજા છેડા સુધી સરળ અને સહજતાથી અવાગમન થઈ શકે એવી વ્યવસ્થા ઉભી કરવા પોતાના તનતોડ પ્રયાસો કર્યા હતા. જેના પરિણામે આજે દમણના દરિયા કિનારાની સાથે સાથે મોટી દમણ કિલ્લો પણ જોવા લાયક બન્યો છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મોટી દમણ કિલ્લાની મુલાકાત દરમિયાન નાણાં સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દમણ કલેક્ટર શ્રી સૌરભ મિશ્રા તથા પ્રશાસકશ્રીના ઓ.એસ.ડી. સુશ્રી ચાર્મી પારેખ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.