શ્રી રામ શોભાયાત્રા સમિતિ દ્વારા દમણ જિલ્લાના ગામોમાં જાગૃતિ પેદા કરવા કરાયેલ રામ રથ યાત્રાનું સફળ આયોજનઃ સમિતિએ જે તે ગામના બાળકોને રામ, સીતા, લક્ષ્મણ, શબરી અને હનુમાનની વેશભૂષામાં તૈયાર કરી રથમાં બેસાડતાં ગ્રામજનોએ અનુભવેલી દિવ્યતાની અનુભૂતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.16: આવતી કાલે શ્રી રામ જન્મ જયંતિના ઉપલક્ષમાં શ્રી રામ શોભાયાત્રા સમિતિ, દમણ દ્વારા બપોરે 3:00 વાગ્યે અંબામાતા ચોક વડચૌકી સર્કલ ભેંસરોડથી ભવ્ય શ્રી રામ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાશે. શોભાયાત્રા અંબામાતા ચોક વડચૌકી ભેંસરોડથી બસ સ્ટેન્ડ, દમણ ચાર રસ્તા, ત્રણબત્તી, મશાલ ચોક થઈ પદમાવત પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણાહૂતિ કરાશે. જ્યાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે.
શ્રી રામ શોભાયાત્રા સમિતિએ આ વખતે શ્રી રામ જન્મ મહોત્સવને ભવ્ય રીતે ઉજવવા અને દરેક ગામોમાં લોક જાગૃતિ ફેલાવવા માટે રામ રથ યાત્રાનું પણ આયોજન કર્યું હતું. જેમાં દમણ જિલ્લાના લગભગ તમામ ગામોને આવરી લેવાયાહતા. શ્રી રામ શોભાયાત્રા સમિતિએ આ વખતે રથમાં જે તે ગામના બાળકોને રામ, લક્ષ્મણ, સીતા, શબરી અને હનુમાનની વેશભૂષામાં તૈયાર કરાવી બેસાડયા હતા અને ગામલોકોએ તેમનું પૂજન-અર્ચન પણ કર્યું હતું. જેના કારણે સમગ્ર કાર્યક્રમ જીવંત બન્યો હતો અને લોકભાગીદારીની ભાવના પણ દૃઢ બની હતી.